મોરબી શહેરમાં દિવસેને દિવસે રખડતા શ્વાનોનો આતંક જીવલેણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બે દિવસ પહેલાં જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભરી ભયનો માહોલ સર્જ્યો હતો, આ ત્રાસ માત્ર શહેર પુરતો મર્યાદિત નથી રહ્યો પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાન દ્વારા માણસો પર હુમલા કરવાની ઘટના બની રહી છે. શ્વાનના હુમલાની હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના મોરબી-જેતપર રોડ ઉપર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં સામે આવી છે જેમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા કૃપાલભાઈ માલવિયાના 8 વર્ષીય પુત્ર કૃણાલ કૃપાલભાઈ માલવિયાને રખડતા શ્વાનોએ હુમલો કરી ગંભીર રીતે બચકા ભરતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે.
આ બનાવે સમગ્ર મોરબી પંથકમાં રખડતા શ્વાનના ભય બેસાડ્યો છે તો વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા છે. માસૂમ બાળકના મોત બાદ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે ફક્ત તકલીફ નહીં પરંતુ સીધી જીવલેણ આપત્તિ બની ગયો છે. બાળકનું મૃતદેહ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી અને ખોખલા દાવાઓમાં વ્યસ્ત છે, જ્યારે જમીન પર કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. વારંવાર લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
પ્રશ્ન એ ઊભો થયો છે કે શું હવે તંત્ર કોઈ મોટા આંદોલન કે વધુ નિર્દોષોના મોતની રાહ જોઈ રહ્યું છે? શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ સ્થળેથી વહીવટી તંત્ર સંકલન સાધી રખડતા શ્વાનોને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાં હવે સમયની માંગ બની ગઈ છે. જો હજુ પણ જવાબદાર વિભાગો ઊંઘતા રહેશે તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

