ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે. આચારસંહિતા અમલી બને તે પહેલાં રાજ્યભરમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની હારમાળા સર્જાઈ છે, જેમાં હવે મોરબી મહાનગરપાલિકાનો પણ ઉમેરો થયો છે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ:
આગામી 28 માર્ચ, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે સામાં કાંઠા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે રૂપિયા 106 કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિ:
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ કામોના શ્રીગણેશ થશે.
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ માળખાકીય સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સતત ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે આ કરોડોના ખર્ચે થનારા કામો માત્ર કાગળ પર ન રહી જાય અને તેની ગુણવત્તા જળવાય તે અત્યંત જરૂરી છે. લોકો ઇચ્છી રહ્યા છે કે કામગીરી એટલી મજબૂત હોય કે ભવિષ્યમાં એક જ કામ માટે વારંવાર પ્રજાના નાણાંનો વ્યય ન થાય.
હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પહેલાં થનારા આ ખાતમુહૂર્તથી મોરબીના વિકાસને કેટલી નવી ગતિ મળે છે.

