મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શાખાએ 2 સરકારી કચેરીઓમાં કુલ 48 કર્મચારીઓ તેમજ એક ઇન્ડસ્ટ્રીઝમાં 97 કામદારોને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપી હતી.
આ ઉપરાંત, પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઉદ્યોગિક એકમો જેવી ઇમારતોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની તપાસ હાથ ધરવામાં આવી. જ્યાં ફાયર NOC ઉપલબ્ધ નહોતું તેવા બિલ્ડીંગ માલિકોને નોટિસ આપવામાં આવી અને જરૂરી માર્ગદર્શિકા તેમજ સુરક્ષા સૂચનો પણ આપવામાં આવ્યા. અગાઉ આપવામાં આવેલી નોટિસના અનુસંધાને 192 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ કામગીરી ચાલુ છે.
આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી મંજૂરી માટે 8 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેને આગળની કાર્યવાહી માટે આરએફઓ કચેરીમાં મોકલવામાં આવી છે. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો અને આપત્તિ સમયે તાત્કાલિક અગ્નિશમન વિભાગનો સંપર્ક કરીને જાનહાનિ તથા માલમિલકતનું નુકસાન ઓછું કરવાની દિશામાં પ્રયાસ કરવાનો છે.

