જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય હોવું ખૂબ જરૂરી છે, પરંતુ ઘણીવાર માણસ ઉત્સાહમાં આવીને એવા લક્ષ્યો નક્કી કરી દે છે જે વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ રાખતા નથી. અતિશયોક્તિગ્રસ્ત લક્ષ્યો શરૂઆતમાં તો ખૂબ આકર્ષક લાગે છે, પરંતુ સમય જતાં તે જ લક્ષ્યો માણસને નિરાશા અને હતાશામાં ધકેલી દે છે. કારણ કે જ્યારે લક્ષ્ય ખૂબ મોટું અને અયોગ્ય હોય, ત્યારે તે પૂર્ણ ન થઈ શકતા માણસ પોતાના જ આત્મવિશ્વાસ પર શંકા કરવા લાગે છે.
વાસ્તવમાં સમજદાર વ્યક્તિ એ હોય છે જે પોતાની ક્ષમતા, પરિસ્થિતિ અને ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને લક્ષ્ય નક્કી કરે છે. નાના અને વાસ્તવિક લક્ષ્યો માણસને સતત પ્રગતિ તરફ લઈ જાય છે. એક નાનું લક્ષ્ય પૂર્ણ થાય ત્યારે મનમાં નવી ઉર્જા જન્મે છે અને તે ઉર્જા આગળના મોટા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરે છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા અને દેખાવની સ્પર્ધા પણ લોકોને અતિશયોક્તિગ્રસ્ત લક્ષ્યો તરફ દોરી રહી છે. લોકો બીજાની સફળતા જોઈને પોતાની પરિસ્થિતિને ભૂલી જાય છે અને અચાનક ખૂબ મોટી ઊંચાઈ હાંસલ કરવાની ઈચ્છા રાખે છે. પરંતુ સત્ય એ છે કે દરેક સફળતા પાછળ લાંબી મહેનત અને ધીરજ છુપાયેલી હોય છે.

એટલે જીવનમાં સમજપૂર્વક અને વાસ્તવિકતા સાથે લક્ષ્ય બનાવવું ખૂબ જરૂરી છે. સપના જોવામાં ખોટું કંઈ નથી, પરંતુ તે સપનાઓને પૂર્ણ કરવા માટે એક એક પગલું આગળ વધવું વધુ સમજદારી છે. કારણ કે વાસ્તવિકતા સાથે જીવતા લોકો ધીમે ધીમે પણ ચોક્કસ રીતે પોતાની મંજિલ સુધી પહોંચી જ જાય છે…નિલેશ પટેલ

