મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામે વન્યજીવ પ્રેમીઓને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ગામના તળાવ પાછળના ભાગમાં આજે વહેલી સવારે અજાણ્યા શિકારીઓ દ્વારા એક નીલગાય (રોઝ)નો શિકાર કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે જ્યારે ગામના જાગૃત નાગરિકો તળાવ પાસે પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં એક નીલગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. નીલગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા જોવા મળ્યા હતા. શિકારીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક નીલગાયને મોતને ઘાટ ઉતારી હતી.
ગ્રામજનો સ્થળ પર પહોંચે તે પહેલા જ અંધારાનો લાભ લઈને બહારના શિકારીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વન્યજીવના શિકારની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વન વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે અને હથિયારધારી શિકારીઓને ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ કરાઈ છે.

