મોરબીના સોખડા ગામ નજીક એક ખેતરમાંથી માનસિક બીમાર યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાન છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનની ઓળખ સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (ઉંમર 36) તરીકે થઈ છે, જે સોખડા ગામનો રહેવાસી હતો. તેનો મૃતદેહ સોખડા અને બહાદુરગઢ રોડ પર આવેલી રમેશભાઈ બાલાસરાની કપાસ વાવેતર કરેલી વાડીમાંથી મળી આવ્યો હતો.
સંજયભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. આ વખતે તેઓ કોઈને જાણ કર્યા વગર છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રમેશભાઈ બાલાસરા (રહે. કિશનગઢ, સોખડા) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

