જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં ગુરુવારે બપોરે 12.30 વાગ્યે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. પદ્દરના ચશોટી ગામના વિસ્તારમાં દુર્ઘટના બની હતી. આ સ્થળ માચૈલ માતા મંદિરનો પ્રારંભિક પોઈન્ટ છે.
અહીં ધાર્મિક યાત્રા માટે ઘણા લોકો ભેગા થયા હતા. ત્યારે અચાનક વાદળ ફાટવાથી યાત્રા ઝપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક લોકો મદદ કરવામાં રોકાયેલા છે. દેશના ઉત્તરીય ભાગોમાં ફરી એકવાર ચોમાસુ એક્ટિવ થયું છે. બુધવારે રાત્રે હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. કોટખાઈના ખલતુનાલા પહાડીઓમાં સવારે 3 વાગ્યે વાદળ ફાટવાના કારણે કાટમાળ નાળામાં આવી ગયો. તેના કારણે તરાઈમાં એક પેટ્રોલ પંપ અને 6થી વધુ વાહનો દટાઈ ગયા. પંપ પર કામ કરતા કર્મચારીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.
બુધવારે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ અને સિમલામાં 4 સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની હતી. કુલ્લુના શ્રીખંડ અને તીર્થન ઘાટી, સિમલા જિલ્લાના નાન્તી ગામ ફાચા અને કાશાપાઠમાં વાદળ ફાટવાથી નદીઓ અને નાળાઓમાં પુર આવ્યું હતું. સેનાએ અચાનક પૂરમાં ફસાયેલા 4 લોકોને બચાવ્યા. આ લોકોને પૂહ લશ્કરી કેમ્પમાં લઈ જવામાં આવ્યા. ભારે વરસાદને કારણે ઉના, કુલ્લુના બંજર સબ ડિવિઝન, સિમલાના જુબ્બલ અને મંડીના થુનાગમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે.
હિમાચલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વરસાદ અને તેને લગતી ઘટનાઓને કારણે 323 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે ગુરુવારે તેલંગાણામાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તેમજ, યુપી-એમપી સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ અને રાજસ્થાન-બિહાર સહિત 21 રાજ્યોમાં યલો એલર્ટ છે. બુધવાર રાતથી દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે ધોરણ 12 સુધીની તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો બંધ રહેશે.

