મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોડ પર આડેધડ રેકડી રાખી વાહન ચાલકોને નડતરરૂપ બનતા રેકડી ધારકો પર અગાઉ મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આવા રેકડી ધારકોને દૂર કરવામાં આવ્યા હતા. જોકે જે તે સમયે રેકડી ધારકો દ્વારા વૈકલ્પિક જગ્યા આપવા માગણી કરી હતી. જેના આધારે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરાવ્યું હતું અને રેકડી ધારકો માટે હંગામી હોકર ઝોન શરૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. જેના ભાગરૂપે શહેરના ગાંધી ચોક વિસ્તારમાં અંદરના ભાગે 45 જેટલા રેકડી ધારકોને જગ્યા ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત સામા કાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલા કુળદેવી પણ આસપાસ 22 જેટલા રેકડી ધારકોને નરસન ટેકરી વિસ્તારમાં 29 જેટલા રેકડી ધારકોને તેમજ સરદારબાગ અને માધાપર વિસ્તારમાં 180 જેટલા રેકડી ધારકોને ટ્રાફિકની નડતરરૂપ ન થાય તે રીતે જગ્યા ફાળવવામાં આવી છે.
મોરબી શહેરના અંદાજિત 275 જેટલા રેકડી ધારકોને વ્યવસાય માટે વૈકલ્પિક જગ્યા મળતા શહેરના આ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાને મહદ અંશે રાહત થઈ હોવાનું અને શહેરના રસ્તા દબાણ મુક્ત થયા હોવાનો દાવો મોરબી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

