વાંકાનેરના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકી 20 થી વધુ ઘેટાઓનું મારણ કર્યું હતું. જે બાદ ગઈકાલ રાત્રીના દસ વાગ્યાની આસપાસ તે જ માલધારીના વાડામાં પુનઃ બે દિપડા ત્રાટક્યા હતા અને માલધારીની નજર સામે સાત ઘેટાં પર હુમલો કરી બે નું મારણ કરી મિજબાની માણી અન્ય પાંચ ઘેટાને ગંભીર રીતે ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યા છે.
આ બનાવમાં બે દિપડાઓ એકસાથે માલધારીના વાડામાં ત્રાટકતા માલધારીએ હિંમત દાખવી બંને દિપડાનો સામનો કરતા વધુ ઘેટાઓનો બચાવ થયો હતો. આ વિસ્તારમાં અવારનવાર દિપડાઓ દેખાતા આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ બનાવની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોચી અને દિપડાઓને પકડવા પાંજરા ગોઠવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી.

