ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં 42 મુસાફરો સવાર હતા. જેમાં અકસ્માતમાં 15 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે કહ્યું- સોલ્ટ અને રાનીખેતથી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જેમાં 15 લોકોના મોતના અહેવાલ છે. રેસ્ક્યુ પછી જ મૃતકોનો ચોક્કસ આંકડો જાણી શકાશે. આ દરમિયાન એસડીએમ સોલ્ટ સંજય કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મોત થયા છે. બસ કિનાથથી રામનગર જઈ રહી હતી. જેમાં મોટાભાગના સ્થાનિક લોકો સવાર હતા. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું.
પોલીસે જણાવ્યું કે બસ ગઢવાલ મોટર્સની હોવાની અને ઘણી જુની હોવાની માહિતી મળી હતી. હાલ અકસ્માત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. બસ ખીણમાં પડતાં અનેક મુસાફરો બસમાંથી પટકાયા હતા અને દૂર પડી ગયા હતા. આ અકસ્માતમાં બચાવ કામગીરી માટે નૈનીતાલથી પણ પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

