મોરબી નજીકનું જીવાપર આજે પણ કૃષિ માટે ચોમાસા પર જ નિર્ભર રહે છે. 20 વર્ષથી કેનાલની ઝંખના અધૂરી જ રહી જવા પામી છે. ખેડૂતોની વારંવારની રજૂઆતોને ઘોળીને પી જવાતી હોવાથી ખેડૂતોમાં આક્રોશ છવાયો છે.
ખેતી પ્રધાન ભારત દેશમાં વરસાદ સિવાય પણ પાકો માટે યોગ્ય સિંચાઈની સુવિધાઓ સરકાર ખેડૂતોને આપે તો ખેડૂતો જ નહીં સમગ્ર દેશનું પણ કલ્યાણ થઈ જાય છે. પણ આવી સ્થિતિની કલ્પના જ કરવાની હોય, હકીકત તો અલગ જ છે. હકીકતમાં સરકાર આટલા વર્ષોમાં કૃષિ ક્ષેત્રે કોઈ ક્રાંતિ ન લાવી અને પાકો માટે સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ ન કરતા તેનું માઠુ પરિણામ ખેડૂતોને ભોગવવું પડે છે. જેમાં મોરબીના જીવાપર ગામે આસપાસના ગામોને પિયત માટે નર્મદા કેનાલની સુવિધાઓ હોય તો આ ગામ એટલે જીવાપરને કેનાલની સુવિધાથી વંચિત કેમ રાખી દેવાયું તેવો ખેડૂતોએ અણીયારો સવાલ કર્યો છે.
જીવાપરના લોકોને ખેતી માટે કાયમી સિંચાઇની અગવડ તો છે જ સાથે અંતરિયાળ રસ્તા પણ નબળા છે. અમુક સિંગલ પટ્ટી રોડ વર્ષોથી ડબલ પટ્ટી કરવાની માગણી જેમની તેમ રહી જવા પામી છે.આમરણથી માણેકવાડાને જોડતો માર્ગ હાલ સિંગલ પટ્ટીનો હોય એને ડબલ પટ્ટીનો કરવાની માગણી વર્ષો જૂની છે જે હજુ પણ સંતોષાઇ નથી.
મોરબીના જીવાપર ગામના લોકો કહે છે કે, આ ગામ આઝાદી પહેલાનું એટલે અનુમાન મુજબ આ ગામ 150 વર્ષ જૂનું અને ગામના નામ સહિતના ઇતિહાસની તો ખબર નથી. પણ સરકાર કે સંબધિત તંત્ર જો આ ગામને સિંચાઈનો લાભ આપવામાં હજુ પણ અવળચંડાય કરશે તો મોરબીના નકશામાંથી આ ગામ નાબૂદ થઈ જશે. જો કે ગામમાં સમય અને સંજોગો અનુસાર લાઈટ, બાગ બગીચા, 50 ટકા શિક્ષિત વર્ગ, પાણી, રોડ રસ્તા, સારા બાંધકામો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, સ્કૂલ, આંગણવાડી સહિતની ઘણી બધી સુવિધાઓ છે. પણ જે મેઈન સુવિધાની કમી છે. તે છે, નર્મદાના કેનાલમાંથી મળતું સિંચાઈનું પાણી. એ સુવિધા હવે જલ્દી નહિ મળે તો આ ગામનું બધું શહેરીકરણ થઈ જશે. કારણ કે, મુખ્ય વ્યવસાય ખેતી હોય અને હવે ઓલરેડી આશરે 800થી વધુની વસ્તી સામે હવે 400ની જ વસ્તી રહી ગઈ છે.

