ખોટા આવક પ્રમાણપત્ર જાહેર કરી છાત્રો ના પ્રવેશ કરતા વાલીઓ પર થશે તવાઈ!
ગરીબ અને મધ્રાયમ વર્ઇગીય પરિવારના બાળક ને ખાનગી શાળામાં નિશુલ્ક શિક્ષણ મળે તે માટે સરકારના રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંતર્ગત ચાલતી યોજનાનો કેટલાક વગદાર અને પૈસાદાર વાલીઓ ખોટા આવકના દાખલાને આધારે જાણીતી સ્કૂલોમાં સરકારીની ફ્રી સીટ પર પ્રવેશ મેળવી લેતા હતા, જેના કારણે લાયક બાળકો પ્રવેશથી વંચિત રહી જાય છે ત્યારે હવે શિક્ષણ વિભાગ તેના પર અંકુશ લાવવાની તૈયારી કરી છે. આ વર્ષથી આરટીઈના પ્રવેશ માટે ઓનલાઇન અપલોડ કરવાના દસ્તાવેજોમાં વાલીએ પોતાનું ઇન્કમટેક્સ રિટર્નનું સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે. આ ઉપરાંત પાનકાર્ડની વિગતો પણ આપવાની રહેશે.
જો વાલી પાસે પાન કાર્ડ ન હોય તેણે પોતાની પાસે પાન કાર્ડ કે ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોવાનું સોગંદનામું કરવાનું રહેશે.અગાઉનાં વર્ષોમાં સામાન્ય રીતે વિદ્યાર્થીના પ્રવેશ માટેનો આધારે વાલીની આવકનો ગણાતો હતો. વાલી ગેરરીતિ દ્વારા પોતાની આવક કરતાં ઘણો ઓછો આવકનો દાખલો કઢાવતા હતા. ભૂતકાળમાં જાણીતી સ્કૂલોએ એવા વાલીઓની આવક, રહેઠાણ, વાહનો વગેરે સુખ સુવિધાના ફોટો સાથેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી, પરંતુ આવકનો દાખલા પર શિક્ષણ વિભાગનો કોઈ અંકુશ ન હોવાથી મોટા ભાગના વાલીઓ પર કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.
શિક્ષણ વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વાલીના પાન કાર્ડથી તેની આવકની સાથે તેણે લીધેલી લોન અને તેના દ્વારા બેંકમાં ચૂકવાતા હપતા અંગે પણ માહિતી મળી શકશે, જેથી વાલીની ખરેખર આવક કેટલી છે તે જાણી શકાશે. જો વાલી પાનકાર્ડ કે રિટર્ન નહીં આપે તો તેણે ભવિષ્યમાં ગેરરીતિ પકડાય તો તેની જવાબદારી સ્વીકારવાની લેખિતમાં બાંહેધરી આપવી પડશે.
અત્યાર સુધી વાલીએ ઓનલાઇન ફોર્મ ભરીને તેની નકલ નક્કી કરેલી સ્કૂલોમાં જમા કરાવવાની હતી, પરંતુ હવેથી પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરીને તેને કોઈ સ્થળ પર વાલીએ જમા કરાવવાનું રહેશે નહીં. ફોર્મ સાથે રહેઠાણના પુરાવા અને તમામ અસલ દસ્તાવેજો અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવા શિક્ષણ વિભાગે વાલીઓને સૂચના આપી છે. જો તે સ્પષ્ટ વંચાતું નહિ હોય તો માન્ય ગણાશે નહિ.

