સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ફૂલગામ ગામમાં સોમવારના રોજ ચકચાર મચાવનાર ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી.બનાવમાં એક જ ગામમાં પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે એક મહિના પહેલાં ગટરના પ્રશ્ને થયેલી બોલાચાલી બાદ આજે પણ ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આરોપીએ ચપ્પા વડે ત્રણ લોકો પર હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણના ફૂલગામમાં ભોગ બનનાર પરિવાર અને આરોપીનો પરિવાર સામસામે રહે છે. એક મહિના પહેલાં બંને પરિવાર વચ્ચે ગટરના પ્રશ્ને બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આજે બપોરના સમયે ધર્મેન્દ્રભાઈ અને તેમનાં પત્ની દક્ષાબેન બહારથી આવ્યાં ત્યારે પાડોશમાં રહેતા અગરસંગ માતરણીયાએ ચપ્પા વડે બંને પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. ઘટનાના પગલે ધર્મેન્દ્રભાઈના પિતા હમીરભાઈ દોડી આવતા આરોપીએ તેની પણ હત્યા કરી હતી.

