“જો આપણે જીવનમાં ક્યારેય અસ્થાયી રીતે નમવું પડે તો
વીરની જેમ નમવું જોઈએ.”નેતાજી સુભાષચંદ્ર બોઝ.
મહાન રાષ્ટ્રવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક એવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી “પરાક્રમ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં ઓરિસ્સાના કટ્ટકમાં થયો હતો. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સુભાષચંદ્ર દેશમાં જ નહિ પરંતુ દેશની બહાર પણ આઝાદીની લડાઈ લડી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં સુભાષચંદ્ર એક એવો અવાજ બન્યા હતા જેમણે દેશ અને દેશની યુવાપેઢીને એક નવી દિશા આપી હતી.
બાળપણમાં સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન જ સુભાષચંદ્ર બોઝમાં દેશભક્તિ જાગૃત થઇ હતી. કોલકાતાની પ્રેસિડન્સી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો જે બદલ બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી. સુભાષચંદ્રએ વર્ષ ૧૯૨૧માં ઈંગલેન્ડમાં ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ થયા હતા. પરંતુ અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કરીને તેઓ રાજીનામું આપી ભારત પરત ફર્યા હતા.
ભારત આવ્યા બાદ તેમની મુલાકાત દેશબંધુ ચિતરંજન દાસ સાથે થઇ હતી. એ દિવસોમાં “ફોર્વડ” નામનું અંગ્રેજી વર્તમાનપત્ર શરૂ થયું હતું. એ વર્તમાનપત્રમાં નેતાજી સંપાદક તરીકે કાર્યરત હતા અને અંગ્રેજો વિરુદ્ધ ઘણા મુદ્દા પર લખ્યું હતું અને જે કારણોસર તેઓએ વર્ષ ૧૯૨૧માં ૬ મહિનાનો જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્યારબાદ અનેક વખત નેતાજીએ જેલવાસ ભોગવ્યો હતો.

સુભાષચંદ્રના અધ્યક્ષપદે વર્ષ ૧૯૩૮માં હરિપુરા ખાતે કૉંગ્રેસનું અધિવેશન યોજાયુ હતું. જેમાં આઝાદી માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તેઓ સહભાગી બન્યા હતા. વર્ષ ૧૯૩૯ના તેઓએ ફૉરવર્ડ બ્લૉક નામની સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી હતી. ક્રાંતિકારી રાસબિહારી બોઝથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર સહિત ફૉરવર્ડ બ્લૉકના મુખ્ય ક્રાંતિકારીઓને કેદ કર્યા હતા. ત્યારે અંગ્રેજો સામે સુભાષચંદ્રએ જેલમાં આમરણ ઉપવાસ કર્યા અને અંગ્રેજોએ નાછુટકે તેમને છોડવા પડ્યા પરંતુ તેમને તેમના જ ઘરમા નજરકેદ રાખ્યા હતા.
નેતાજીએ નજરકેદથી છુટવા મહમદ ઝીયાઉદ્દીનના નામથી ૫ઠાણનો વેશ ધારણ કરીને પોલીસની નજરથી બચીને પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સુધી પહોચ્યાં હતા. ત્યારબાદ તેઓએ ઇટલીથી જર્મની અને જર્મનીથી પૂર્વ એશિયા પહોચ્યા હતા. વર્ષ ૧૯૪૩માં નેતાજી આઝાદ હિન્દ ફોજના પ્રધાન સેનાપતિ પણ બન્યા હતા. આઝાદ હિન્દ ફોજમાં સ્ત્રીઓ માટે ખાસ ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી હતી. આ સૈન્ય દ્વારા તેઓએ પૂર્વ એશિયામાં ભારતીય સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું તેમજ જાપાનના કબજા હેઠળ દક્ષિણપૂર્વ એશિયામાં આશરે ૪૦ હજાર સૈનિકોની સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતું.
દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિન્દ ફોજએ જાપાની સેનાના સહયોગથી બ્રિટીશ શાસીત ભારત પર આક્રમણ કર્યું હતું અને ફોજને પ્રેરિત કરવા માટે નેતાજીએ “ચલો દિલ્લી”નો નારો આપ્યો હતો.આ ફોજે અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીત્યા હતા.નેતાજીએ આ દ્વીપોનું “શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ”નામ આપ્યું હતું.૩૦ ડીસેમ્બર ૧૯૪૩ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આંદામાન અને નિકોબારમાં આઝાદ હિંદ ફોજનો સેનાનો ધ્વજ ફરકાવ્યો હતો.વર્ષ ૧૯૪૪ના રોજ સિંગાપોરથી આઝાદ હિંદ રેડિયો દ્વારા કરાયેલા ભાષણમાં બોઝે મહાત્મા ગાંધીને “રાષ્ટ્રપિતા”તરીકે સંબોધ્યા અને આઝાદ ભારતની લડાઈમાં સફળ થવા માટે ગાંધીજીના આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગી હતી.

