મોરબી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જે અન્વયે રૂ.444.93 કરોડની વિવિધ યોજનાઓના લાભ હેઠળ ૩૩૫૬૮ હજાર લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ગરીબ કલ્યાણ મેળાને ખરા અર્થમાં વંચિતોનો વિકાસ માટેનો મેળો ગણાવતાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સિરામીક નગરી તરીકે વિશ્વ સ્તરે નામના મેળવેલા મોરબી ખાતે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગરીબોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સહાય આપવા 13માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વંચિતો, ગરીબો અને ખેડૂતોને સમર્પિત સરકાર છે. જનધન યોજના હેઠળ ગરીબોને બેંક સાથે જોડ્યા અને આજે તમામ યોજનાઓની સહાય લાભાર્થીઓ સીધી તેમના બેંકના ખાતામાં મેળવી રહ્યા છે. આજે આરોગ્ય, શિક્ષણ કૃષિ તમામ ક્ષેત્રે માળખાગત સુવિધા ઉપલબ્ધ બની છે.
વધુમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાઓ દ્વારા યુવાનોને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. 2024 પહેલા ગુજરાતના તમામ નાગરિકોને ઘરનું ઘર હોય તે સંકલ્પ સાર્થક કરવા માટે છેલ્લા 5 વર્ષમાં 5 લાખ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત દરેક તાલુકામાં કિડનીની બીમારી માટે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે જે થકી ગંભીર બીમારીઓમાં પણ સરકાર જરૂરિયાતમંદ લોકોની સાથે છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને સંલગ્ન વિવિધ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે હાલ સમગ્ર રાજ્યમાં ઓકટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળામાં પુરવઠા વિભાગ, ઊર્જા વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, મહિલા અને બાળવિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, લીડ બેંક, વન વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના 17 જેટલા વિભાગો હેઠળ 323 જેટલી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અનેક યોજનાઓ અન્વયે સહાય કિટનું વિતરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સિદ્ધીઓ વર્ણવતા ‘પંચાયતી રાજની આગેકુચ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

