નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ પર્યાવરણ મંજૂરીની શરતોનો ભંગ કરીને નોઇડામાં વધુ માળ(ફલોર) બનાવવા બદલ બિલ્ડરને ૧૫કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ જણાવ્યું છે કે બિલ્ડરના આ કૃત્યને કારણે પર્યાવરણ પર પ્રદૂષણનો વધુ બોજ પડયો છે.નોઇડાના સેક્ટર ૭૭માં એક્સપ્રેસ ઝેનીથનું નિર્માણ કરનાર એક્સપ્રેસ બિલ્ડર્સ એન્ડ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પર્યાવરણીય શરતોનું ભંગ કરવા બદલા તેમની વિરુદ્ધ દાખલ કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન એનજીટીએ આ આદેશ આપ્યો હતો.
એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ કે ગોયલના નેતૃત્ત્વવાળી ખંડપીઠે પર્યાવરણીય શરતો હેઠળ બિલ્ડરને ગ્રાઉન્ડ અને ૧૮ માળના બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. આમ છતાં બિલ્ડરે ગ્રાઉન્ડ અને ૧૯ માળના પાંચ ટાવર ઉભા કર્યા હતાં.આ ખંડપીઠમાં ન્યાયમૂર્તિ ગોયલ ઉપરાંત ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્યોમાં એ સેન્થિલ વેલ અને અફરોઝ એહમદ સામેલ હતાં.
ખંડપીઠે જણાવ્યું હતું કે વધુ એક માળનું બાંધકામ કરીને બિલ્ડરે પર્યાવરણ પર પ્રદૂષણનો બોજ વધાર્યુ હોવાથી તે દંડની રકમ ભરવા જવાબદાર છે. ખંડપીઠે ૧૫ કરોડ રૃપિયા એક મહિનાની અંદર ગૌતમબુદ્ધ નગરના જિલ્લા અધિકારીને જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.

