સૌરાષ્ટ્રના તા.૨૧ ઓક્ટોબરથી એકાદશી-વાઘબારસ સાથે દિવાળીની રજાનો માહૌલ સર્જાય તે પહેલા તા.૧૯ના આસો સુદ-૯ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવીને રૂ।.પાંચ-છ હજાર કરોડના કામોના લોકાર્પણ,ખાતમુહૂર્ત કરશે. પ્રાપ્ત વિગત અનુસાર દિવાળીના તહેવારો શરુ થાય તે પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને રાજકાટમાં મનપા દ્વારા બનતા હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક ખાતે ત્રણ ઓવરબ્રીજ, રૈયા વિસ્તારમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં બનતા લાઈટ હાઉસ આવાસો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈશ્વરીયા પાર્ક ખાતે તૈયાર થયેલ સાયન્સ મ્યુઝિયમ લોકોને અર્પણ કરશે.
આચારસંહિતા લાગુ થાય તે પહેલા પધારી રહેલા વડાપ્રધાનની જંગી જાહેર સભા રેસકોર્સમાં યોજાય અને આ સાથે શહેરમાં રોડ શો પણ યોજાય તેવી સંભાવના છે. જો કે વિગતવાર ફાઈનલ કાર્યક્રમ હજુ સત્તાવાર જાહેર થયો નથી પરંતુ, તંત્ર દ્વારા તૈયારીઓ શરુ થઈ ગઈ છે.ખાસ કરીને બ્રિજના લોકાર્પણથી લાખો લોકોને અવરજવરમાં નૂતન વર્ષે રાહત મળશે અને સાયન્સ મ્યુઝિયમનું નવું માણવાલાયક સ્થળ અને ૧૧૪૪ પરિવારોને ઘરનું ઘર મળશે

