રાજકોટમાં અર્વાચીન એટલે ડીસ્કો ડાંડીયાના આયોજકો સાથે શહેર પોલીસ કમિશનરે આજે મિટીંગ યોજી ૨૮ એટલે કે થોકબંધની વ્યાખ્યામાં આવે તેટલી સુચનાઓનું પાલન કરવા તાકીદ કરી હતી, જેમાં મુખ્યત્વે ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી પછી જ તેને પ્રવેશ આપવાની સુચનાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આયોજકોને ખેલૈયાઓનું ઓળખપત્ર ચેક કરીને જ પ્રવેશ આપવા માટે જણાવાયું છે.
પોલીસ સૂચના:જો કે દર વખતે પોલીસ આ રીતે ઘણી બધી સુચનાઓ જારી કરતી હોય છે. પરંતુ તેની અમલવારીમાં ગંભીર બનાવ ન બને ત્યાં સુધી વ્યવહારૂ અભિગમ દાખવતી હોય છે. કારણકે પોલીસ દ્વારા જેટલી સુચનાઓનું પાલન કરવાનું જણાવાય છે તેમાંથી બધી સુચનાઓનું પાલન કરવું ઘણી વખત આયોજકો માટે શકય પણ હોતુ નથી. પોલીસે જે સુચનાઓનું પાલન કરવાની તાકીદ કરી છે તે મુજબ અર્વાચીન રાસના આયોજકોને પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. જેને ઓળખકાર્ડ આપવાના રહેશે. એન્ટ્રી, એકઝીટ ગેઈટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે. દરેક ગેઈટ પર પ્રાઈવેટ સિકયુરીટી રાખવાની રહેશે. એન્ટ્રી અને એકઝીટ ગેઈટ અલગ અલગ રાખવાના રહેશે. ઈમરજેન્સી ગેઈટ ઉપરાંત મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ ગેઈટ રાખવાના રહેશે.
મોટો આદેશ: દરેક એન્ટ્રી ગેઈટ પર ડોર ફ્રેમ મેટલ ડીટેકટર ફરજિયાત લગાડવાના રહેશે. એટલુ જ નહી તેનો ઉપયોગ પણ કરવાનો રહેશે.! પ્રાઈવેટ સિકયુરીટી મારફત ચેકીંગ કરવાનું રહેશે. મહિલા સિકયુરીટી ગાર્ડ પણ રાખવાના રહેશે.
દરેક એન્ટ્રી, એકઝીટ ગેઈટ પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. જેનું મોનીટરીંગ પ્રાઈવેટ સિકયુરીટીના માણસો મારફત કરાવવાનું રહેશે. સીસીટીવીના ફુટેજ સીડી અગર તો ડીવીડી ફોરમેટમાં સાચવીને રાખવાના રહેશે. જરૂર જણાય તેને પોલીસ પાસે રજુ કરવા પડશે.

