મુંબઈ લાલબાગના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો આકાર !
સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ મોરબીના સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો આવતીકાલે બુધવારથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ કાલથી મળશે. 2009 થી શરૂ કરી 13 વર્ષ બાદ મોરબીવાસીઓ તેમજ તમામ ભક્તજનોના સાથ સહકારથી ગણેશ મંડપ સર્વિસના માલિક અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ ઓમ બારૈયા અને ગણેશ ઉત્સવ સમિતિના 50 જેટલા સભ્યો દ્વારા 14 માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ પાસે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંડાલમાં મુંબઈના લાલબાગના મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ દાદાના વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ મળશે. આ અંગે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાંથી વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકે આપણને બહાર કાઢ્યા હોય ત્યારે કોરોનાકાળ બાદ સરકારની મંજૂરી મળ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના સહકારથી 2022 માં ગણપતિ મહારાજના ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષની દાદાની ભવ્ય મૂર્તિ ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત દરરોજ સાંજે 7:30 કલાકે દાદાની ભવ્ય આરતીનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત રાત્રે 10 વાગ્યે દાદાની દ્વિતીય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી શ્રદ્ધાળુઓ દાદાની આરતીનો લાભ લઈ શકે ત્યારે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના પંડાલમાં દાદાના વિશાળ અને ભવ્ય સ્વરૂપના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

