અભ્યારણમાં પ્રવેશ કરવો તે હાલમાં ગુનો બને છે. પરંતુ નિયમોની ઐસી તૈસી કરીને રેતીચોરીને અંજામ આપતા બે ટ્રેકટરો આજે અભ્યારણમાંથી વનવિભાગે ઝડપી લીધા હતા જેમાં બન્ને ટ્રેકટરોને વનવિભાગે પકડીને બન્ને ચાલકોને 25/25 હજારના જામીન પર મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ઘુડખર અભ્યારણમા પ્રજનન સમય હોવાથી 15 જુનથી 16 ઓક્ટોબર સુધી પ્રતિબંધિત વિસ્તારમાં અવરજવર કરવી ગુનો બને છે પરંતુ નિયમોને નેવે મુકીને બેફામ બનેલા રેતીચોરીને અંજામ આપતા બે ટ્રેકટરોને આજે માલણીયાદની ખારી નદીમાથી ઝડપી લીધા હતા. જેમાં અર્જુન સોમાભાઈ દેગામા અને કિશન ધીરુભાઈ કોળીને પકડીને વનવિભાગની કચેરી ખાતે લાવીને ગુનો દાખલ કર્યો હતો જેમાં હાલ બન્ને ટ્રેકટરોના ચાલકને 25/25 હજારના જામીન પર મુક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે માલણીયાદ ગામમાં આજે વનવિભાગ દ્વારા કરાયેલી કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી કે.એમ ત્રમટા, વનપાલ ડી.ડી.કમેજળિયા, વી.પી ગોહિલ, કનકસિંહ પરમાર સહિતના જોડાયા હતા.

વન વિભાગની કાર્યવાહીમાં પણ ભેદભાવ?
વન વિભાગ દ્વારા માલણીયાદની ખારી નદીમાં રેતી ચોરીને અંજામ આપતા બે ટ્રેકટરોને ઝડપી લીધા હતા. જેમાં રાજેશ ભોજાભાઇ, ચિરાગ મહેન્દ્રભાઇ, સંદિપ પ્રભુભાઈ બે સપ્તાહ સુધી જામીન મળ્યા ન હતા. અભ્યારણમાં પરવાનગી વિના પ્રવેશ કરવા બદલ વન્ય અધિનિયમ ૧૯૭૨ ૨૦૦૨, ૨૭.૧, ૨૯ અને ૫૧ મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યારે ગત કાલે પકડાયેલા અર્જુન સોમાભાઇ દેગામા અને કિશન ધીરુભાઇ કોળીને માત્ર 25 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરી દેતા વન વિભાગની કાર્યવાહીમાં પણ ભેદભાવ હોવાની લોકચર્ચા જાગી છે.

