દેશના અમુક ક્ષેત્રોમાં હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે જ ચોમાસાના કારણે નદીઓનું જળસ્તર પણ ઉંચુ આવી રહ્યું છે. પર્વતીય ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તર પર અસર જોવા મળી રહી છે અને તેમાં વધારો થયો છે. ગંગા નદીનું જળસ્તર વધવાના કારણે બાબા વિશ્વનાથની વારાણસી નગરીમાં ‘ઘાટ સિસ્ટમ’માં પણ ફેરફાર જોવા મળ્યા છે.
નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાના કારણે ઘાટની સીડીઓ પર બેસનારા પંડિતો અને પુજારીઓએ થોડા દિવસો પહેલા પોતાનું ઠેકાણું બદલી નાખ્યું હતું અને તેઓ ઉપર બેસવા લાગ્યા હતા. ત્યારે હવે આધ્યાત્મિક મહત્વ ધરાવતા દશાશ્વમેઘ ઘાટની વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીના સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગત 26 જુલાઈની સાંજે ગંગા આરતીનું આયોજન સામાન્ય રીતે આરતી કરવામાં આવે છે તે સ્થળથી થોડે પાછળ કરવામાં આવ્યું હતું. આ વર્ષના ચોમાસા દરમિયાન 26મી જુલાઈની સાંજે પ્રથમ વખત દશાશ્વમેઘ ઘાટની ગંગા આરતીના આયોજનમાં સ્થળ બદલાયું હતું. ગંગા નદીનું જળસ્તર એક-એક પગથિયું ઉપર આવી રહ્યું હોવાથી આયોજકોએ ચબૂતરાના બદલે પ્લેટફોર્મ પર જ આરતીનું આયોજન કર્યું હતું. આયોજકોના મતે જો આ પ્રકારે ગંગા નદીનું જળસ્તર સતત ઉપર આવતું રહેશે તો થોડા સમયમાં જ પ્લેટફોર્મ પર પણ આરતી નહીં થઈ શકે અને પાછળની સીડીઓ પર આરતી યોજવી પડશે.

