મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં લોકો દ્વારા આસ્થાભેર મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરી દીધા છે.
સાર્વજનિક ગણેશ મંડળો જાહેરમાં ગણેશ સ્થાપન કરે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લઇને જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા લાગુ કરાઈ હતી. જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા હતી. જે દૂર કરાઈ છે

આ નિર્ણય: ગુજરાતમાં હવે ગણેશચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશમૂર્તિની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહીં રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા એના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલાં માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત્ રાખવામાં આવ્યું છે.

