ફિલ્મસર્જક મુરાદ ખેતાનીએ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની હિટ ફિલ્મ તેજાબના હક્ક ખરીદી લીધા છે. હવે ટૂંક સમયમાં પ્રિ પ્રોડક્શનનું કામ ચાલુ થશે. મુરાદ ખેતાનીના જણાવ્યા અનુસાર મૂળ ફિલ્મની વાર્તામાં હાલના સમય પ્રમાણે ફેરફાર પણ કરાશે.
બોલીવૂડમાં રીમેક અને સિકવલનો સિલસિલો અટકતો નથી. હવે આ યાદીમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબનો પણ ઉમેરો થયો છે. ક્લાસિક ફિલ્મની રીમેકની જલદી જ ઘોષણા કરવામાં આવશે.

તેજાબ અનિલ કપૂર અને માધુરીની કેરિયરની સીમચીહ્ન રુપ ફિલ્મ ગણાય છે. એક દો તીન ગીતના ડાન્સથી માધુરી રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોવું પડયું ન હતું.
ફિલ્મના દિગ્દર્શક એન ચંદ્રા અગાઉ જ તેજાબની રિમેકનો વિરોધ કરી ચૂક્યા છે. ચન્દ્રાએ કહ્યું હતું કે આ ક્લાસિક ફિલ્મને સ્પર્શ કરવો યોગ્ય નથી. આ ફિલ્મ એક નિશ્ચિત સમયમાં બની હતી અને ફિલ્મની વાર્તા એ સમય સાથે જોડાયેલી હતી. તેજાબ એક શાનદાર ફિલ્મ છે, અને મને નથી લાગતું કે તેને ફરી બનાવવી જોઇએ.

