સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરાયા છે.
સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃઉત્થાન માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે. સંસ્કૃત ભાષાને બોલચાલની સ્થાન આપી સંસ્કૃતનું મહત્વ આગામી પેઢીને આપવામાં આવશે. સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. 70 અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ શરૂ થશે. ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાં સંસ્કૃતિના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર નો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત યુનિવર્સિટી ના નિર્માણમાં પણ ઉત્કૃષ્ટ ફાળો આપવામાં આવ્યો હતો ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારી ગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

જેનો લાભ આગામી નવી પેઢીને મળશે અને સંસ્કૃત ભાષા સચવાશે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃત માં વસેલું છે. સંસ્કૃત દૂર જવા નો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે જનસમાજને સંસ્કૃત ભાષાની જરૂર છે.

