વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં સિરામિક કારખાના નજીક બાઈક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા કારખાનાના શ્રમિકો પર કેટલાક શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરતાં પિતા-પુત્ર સહિત 9થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સરતાનપર ગામની સીમમાં આવેલી મોટો સ્લીમ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા અભિષેક હુકમસિંગ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, બાઈક ચલાવવા બાબતે મુકેશ સુરેશ મગવાનિયા, વિષ્ણુ જુગા મગવાનિયા અને સુરેશ વરસિંગ મગવાનિયા સાથે ફરિયાદી તથા અન્ય શ્રમિકોની બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા આરોપીઓએ ગાળો આપી અભિષેકને જાહેર રસ્તા પર રોકી લાકડીઓ વડે માર માર્યો હતો. દરમિયાન તેના પિતા હુકમસિંગ રાજપૂતને પણ માથાના ભાગે લાકડી વડે ઇજા પહોંચાડવામાં આવી હતી.
આટલેથી મામલો અટક્યો ન હતો. આરોપીઓએ ફોન કરીને અન્ય શખ્સોને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ વિજય રઘુભાઈ ગોરાલીયા, મનહર સુરેશ મગવાનિયા, જુગા વરસિંગ મગવાનિયા સહિતના શખ્સોએ ભેગા મળી ફરિયાદી તથા તેની સાથેના આશરે નવ જેટલા શ્રમિકોને ગાળો આપી લાકડીઓ વડે માર માર્યો હતો.
અચાનક થયેલા આ હુમલામાં પિતા-પુત્ર સહિત અનેક શ્રમિકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે અભિષેક રાજપૂતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

