ગોસાબારાના 100 પરિવારના 600 લોકોએ હાઈકોર્ટમાં સામુહિક ઈચ્છામૃત્યુની અરજી કરતા ચકચાર મચી છે. ગોસાબારા મુસ્લિમ સમાજના આગેવાન અને સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના 600 વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ હિન્દુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રખાતો હોવાનું જણાવ્યું છે. તેમજ પર્યાપ્ત માત્રામાં સુવિધા પણ નહીં અપાતી હોવાની દલીલ કરાઈ હતી.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોરબંદર જિલ્લાના ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ નથી આપી રહી. આગામી દિવસોમાં આ અંગેની સુનવણી હાથ ધરવામાં આવશે.

