ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર અભિયાનનો આરંભ કરાવવા માટે આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર તીખા ચાબખા માર્યા હતા. જેનો વળતો જવાબ પ્રદેશ પ્રમુખ પાટીલે આપ્યો છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. ખાલિસ્તાનની માંગણીનો વિચાર કરવાને તે પોતાનો અધિકાર માને છે ખાલિસ્તાનના સમર્થકોને અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીમાં સાચવે છે. જવાબદારી આપે છે. જોકે, ગુજરાતમાં આવીને કેજરીવાલે લોક અપીલ કરી હતી કે, વધુને વધુ લોકો પાર્ટીમાં આવે.

કેજરીવાલે ભરૂચમાં એક સભામાં દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા અમને એક ચાન્સ આપે અમે દિલ્હીની જેમ ગુજરાતનો ચહેરો પણ બદલી નાંખીશું. અમે આદિવાસીઓને સાથે રાખીને કામ કરી રહ્યા છીએ. આ આદિવાસી પ્રજા પર ઘણા અત્યાચારો થયેલા છે. દેશની બે પાર્ટી માત્ર પૈસાદાર લોકો સાથે જ સંબંધ ધરાવે છે. એની બાજુમાં ઊભી છે. દિવસે દિવસે એ પાર્ટી ધનવાનોને વધારે પૈસાદાર બનાવી રહી છે. 6000 સરકારી સ્કૂલને તાળા મરાવી દીધા. લાખો બાળકોનું ભાવિ ખરાબ કરી નાંખ્યું. અમે સરકારમાં આવ્યા તો સૌથી પહેલા બાળકો માટે સ્કૂલ બનાવીશું. બાળકોનું ભવિષ્ય બનાવીશું. અમે દિલ્હીની શકલ ફેરવી નાંખી છે. દિલ્હીની સરકારી સ્કૂલની સ્થિતિ ઘણી સુધરી ગઈ છે. ગુજરાતીઓની જેમ કેજરીવાલ પણ ઘણો ઈમોશનલ છે. દિલથી સંબંધો બનાવે છે અને નિભાવે છે. હું ગુજરાતની સાડા છ કરોડની પ્રજા સાથે સંબંધ બનાવવા માટે આવ્યો છું. મને ખોટી રાજનીતિ કરતા કે ચોરી કરતા નથી આવડતું. જોકે, એમના ભાષણ પરથી એક વાત સ્પષ્ટ હતી કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક એજન્ડા સાથે પ્રચાર કરી રહી છે. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ લીધા વગર કટાક્ષ કર્યો હતો કે, ગુજરાતની 6.5 કરોડની પ્રજામાંથી એક પણ એવો ગુજરાતી નથી જે ગુજરાતમાં પક્ષનું કેન્દ્રીય સ્તરે સંચાલન કરી શકે? આ તો ગુજરાતની પ્રજાનું ઈનસલ્ટ છે. અપમાન છે. મહારાષ્ટ્રમાંથી આવેલી એક વ્યક્તિ ગુજરાતમાં આવીને સરકાર ચલાવે છે.
ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા @ArvindKejriwal આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
— C R Paatil (@CRPaatil) May 1, 2022
જેના પર વળતો જવાબ આપતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક ટ્વીટ કરી નાંખ્યું હતું. જોકે, જ આ ટ્વીટથી ફરી એકવખત ટ્વીટર પર જુબાનીજંગ શરૂ થાય એવો માહોલ છે. આ પહેલા મનીષ સિસોદિયા અને જીતુ વાઘાણી વચ્ચે ટ્વીટર પર એજ્યુકેશનને લઈને ખેંચતાણ શરૂ થઈ હતી. જેને રાજકીય રંગ લાગતા મામલો છેક દિલ્હી અને ગાંધીનગર સુધી પડઘાયો હતો. ચૂંટણી પહેલા નિવેદનબાજી અને આક્ષેપબાજીની મૌસમને સામાન્ય મનાય છે. પણ આ વખતે કઈ પાર્ટી કયા મુદ્દાઓ સાથે લોકઅપીલ કરે છે એના પર સૌની નજર છે.

