એક મહિના પહેલા રાજકોટ નજીક સણોસરામાં વાડી માલિક અને તેની પત્ની ઉપર હૂમલો કરીને રૂપિયા 1.99 લાખની લૂંટ ચલાવાઈ હતી. આ બનાવમાં ક્રાઈમબ્રાંચે આદિવાસી ટોળકીના ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસ તપાસમાં મામીના અનૈતિક સંબંધનો ખાર રાખીને ભાણેજે લૂંટ ચલાવ્યાનું ખુલ્યું હતું. પોલીસે ભાણેજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના સણોસરા ગામે ગત મહિનાની તા.17ના રોજ વિરજીભાઈ કોળી અને તેની પત્ની કાંતાબેન કોળી ઉપર રાત્રીના હુમલો કરી રૂ.1.47 લાખની રોકડ અને 20 ગ્રામના સોનાના દાગીના મળી 1.99 લાખની લૂંટ થઈ હતી. આ બનાવમાં કુવાડવા પોલીસ અને રાજકોટ ક્રાઈમ બ્રાંચે સંયુકત તપાસ કરી હતી. જેમાં સીસીટીવી ફુટેજના આધારે આ લૂંટમાં વિરજીભાઈને ત્યાં અગાઉ વાડી મજૂર તરીકે કામ કરતો વિજય ભાવસિંગ મોહનીયાની સંડોવણી હોવાનું સ્પષ્ટ થયા બાદ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી દાહોદ જિલ્લાના વાંકીયા ગામના વિજય મોહનીયા સાથે તેના બનેવી મેસુલ વિરસિંગ ભુરીયા, અરવિંદ વેસ્તા હઠીલા, લક્ષ્મણ છનુ ભુરીયાની ધરપકડ કરી હતી.

આ લૂંટને અંજામ આપવા પાછળનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વિજય ભાવસિંગ મોહનીયા જે સણોસરાના ખેડૂત વિરજીભાઈ કોળીને ત્યાં વાડી ભાગમાં વાવતો હોય અને તે પોતાની મામી કાંતાબેનને સાથે લાવ્યો હતો. વિજય અને તેની પત્ની સરલા તથા પૂત્ર સણોસરા ગામે જેન્તીભાઈ ઠુંમરની ખેતી કરતાં હતા. ત્યારે વિરજીભાઈ કોળીએ કાંતા સાથે આંખ મળી જતાં પ્રેમલગ્ન કરી લીધા હતા અને બન્ને વચ્ચે અનૈતિક સબંધ હતા.

જે બાબતે ભાણેજ વિજય મોહનીયાએ પોતાની મામીને સમજાવી હતી. પરંતુ, તે માની નહીં બાદમાં 6 મહિના પૂર્વે કાંતાબેને ભાણેજ વિજયને ત્યાંથી હાંકી કાઢ્યો હતો અને જમીન વાવવા પેટે તેની નિકળતી રકમ રૂા.78 હજારનો હિસાબ પણ ખેડૂત વિજયે અને મામી કાંતાએ આપ્યો ન હોય જેથી બદલો લેવાનું વિજય મોહનીયાએ નકકી કર્યું હતું કે, દિવાળી ઉપર દાહોદ પોતાના વતન ગયા બાદ ત્યાંથી તેના બનેવી મેસુલ, પિતરાઈભાઈ લક્ષ્મણ, મહેશ અને અરવિંદને સાથે રાખી મામી અને ખેડૂતને સબક શિખવવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ગત તા.17ના રોજ વિજય પોતાના વતનથી હોળીના તહેવાર ઉપર રાજકોટ આવવા માટે નિકળ્યો હતો અને તેણે પોતાના સાથે બનેવી અને અન્ય સાથીઓને લીધા હતા. આ લૂંટમાં સંડોવાયેલ લક્ષ્મણ અને અન્ય શખ્સો લૂંટ કરવા માટે રાજકોટ આવ્યા હતા. લક્ષ્મણને કાલાવડ કોર્ટની મુદ્દત હોય જેથી બધા ચોટીલા ભેગા થયા હતા અને રાત્રે ચોટીલા રોકાયા બાદ સવારે કુવાડવા આવ્યા હતા અને વિરજીભાઈ અને કાંતાબેનને મારમારી લૂંટ ચલાવી હતી અને પોતાના વતન ભાગી ગયા હતા.

