અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરિટ પરમાર મેયરના બંગલમાં નહીં પણ ચાલીમાં રહે છે. તેઓ બાપુનગરમાં આવેલા એના ચાલીના મકાનમાં રહે છે. અગાઉ જેટલા પણ મેયર પદે આવ્યા તેમણે આ બંગલાનો પૂરો લાભ લીધો છે. આ બંગલો પહેલી નજરે જ આંખમાં વસી જાય એવો છે. જે લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલો છે.
જોકે, કિરિટ પરમાર પહેલા એવો વ્યક્તિ નથી જેણે આ બંગલામાં જવાની ના પાડી હોય. આ પહેલા મેયર કાનાજી ઠાકોરે પણ વર્ષ 2008માં આ બંગલામાં રહેવા જવાની ના પાડી દીધી હતી. માધુપુરા વૉર્ડના તેઓ કોર્પોરેટર હતા. વર્ષ 2008માં તેઓ અમદાવાદના 37માં મેયર બન્યા હતા. કિરિટભાઈ અને કાનાજી બંને એવા વ્યક્તિઓ છે જે ચાલીમાં રહ્યા અને મેયર બન્યા. તેમ છતાં એક દિવસ માટે પણ આ બંગલાનો ઉપયોગ કર્યો નથી. જેમાં ચાર એસ બેડરૂમ છે. એક એસી કોન્ફરન્સ રૂમ છે.

જીમના સાધનોથી લઈને રસોડા સુધી અને ગાર્ડનથી લઈને ટેરેસ સુધીની સુવિધા છે. જ્યારે તેમણે મેયર તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે જ કહ્યું હતું કે, હું બંગલામાં નહીં મારી ચાલીમાં રહીશ. એટલે જે લોકોને મેયરનું કામ હોય તેઓ બંગલે નહીં પણ બાપુનગરમાં આવેલા ચાલીવાળા વિસ્તારમાં જાય છે. કેટલાક મેયર એવા પણ છે જેઓ 4 કે 6 મહિનાની ટર્મ હોય તો પણ બંગલાનો લાભ લેવા માટે ગયા હોય. જેમાં અસિત વોરા એકમાત્ર એવા મેયર છે જેઓ વેકેશનમાં પરિવાર સહિત મેયર બંગલે રહેવા માટે ગયા હતા.

1000 વારના પ્લોટમાં બનેલો આ બંગલો એક માળનો છે અને સાડા ત્રણ વર્ષ પહેલા રીનોવેટ કરાયો હતો. નવા ફર્નિચર સાથે અન વોલ પેઈન્ટ સાથે આલિશાન બંગલામાં ઘણું રિનોવેશન થયેલું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેરના મેયર કિરિટ પરમાર એક દિવસ માટે પણ આ બંગલામાં રહેવા માટે આવ્યા નથી. વર્ષ 2018માં બીજલ પટેલ જ્યારે મેયર હતા ત્યારે પહેલી વખત આ બંગલાને રિનોવેટ કરાયો હતો. 1.20 કરોડ રૂપિયાના ખર્ચે બંગલાનું રિનોવેશન કરાયું છે. કિરિટ પરમાર આ બંગલામાં રહેતા નથી પણ પાર્ટીની મહત્ત્વની મીટિંગ અને કાર્યક્રમો માટે આ બંગલાનો ઉપયોગ કરાય છે.

