જામનગરમાં આવેલી સરકારી વિભાજી હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટીના મુદ્દે છેલ્લા 43 દિવસથી સીલ લાગ્યું છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે છાત્રોને અગવડતા ના પડે તે માટે એનએસયુઆઈ દ્વારા ફાયર ઓફિસ સામે ધરણાની જાહેરાતથી ચકચાર મચી છે. હવે એનએસયુઆઈ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી વિરોધ કરી રહી છે.

જામનગર શહેરની સરકારી વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટી મુદ્દે લાગેલા સીલને એનએસયુઆઈ અને કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે, પરંતુ તેમાં પણ તે ગોથું ખાઈ ગયા. વિભાજી સ્કૂલના ઉપરના બે માળ ગુજરાત હાઈકોર્ટ અને સરકારના નિયમ પ્રમાણે સીલ થયા છે જેમાં ફાયરે કાંઈ કરવાનું રહેતું નથી. આ મુદ્દો શિક્ષણ વિભાગનો છે છતાં પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ બંને આ મુદ્દે ઠેકી પડી અને વિદ્યાર્થીઓને અગવડતા પડે છે તે મુદ્દે ફાયર વિભાગ સામે ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે 3 મહિના પહેલા રૂપિયા 4થી 5 લાખની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી જેના કારણે વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી થઈ શકી નથી. તેમ ઈન્ચાર્જ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કૈલા જણાવી રહ્યાં છે.

