મહાનગર અમદાવાદમાં કુખ્યાત એવા વિશાલ ગોસ્વામીની ગેંગ ફરી સક્રિય થઈ ગઈ છે. એમની ગેંગના સાગરિત મનીષ ગોસ્વામીએ ધમકી આપવાનું ચાલું કરી દીધું છે. જેને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મનીષ સહિત અન્ય ત્રણ અજાણી વ્યક્તિ સામે ગુનોં નોંધાયો છે. આ સિવાય અંકિત શાહ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનોં નોંધાયો છે. ફરિયાદીને રૂ.42 લાખનું શેર બજારમાં નુકસાન થયું હતું. હવે એની પાસેથી સવા કરોડ માંગવામાં આવ્યા છે.
આ કેસમાં ફરિયાદની ધમકી આપીને 4 લાખ રૂપિયાના ચેક પડાવી લીધા છે. રૂપિયા ન આપી શકતા ફરિયાદીને છરી બતાવીને મારી નાંખવાની ધમકી આપી છે. ફરિયાદીએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંકિત શાહના માધ્યમથી શેર માર્કેટમાં મોટું રોકાણ કર્યું હતું. અંકિત શાહ મારફતે ફરિયાદીએ રૂ.42 લાખ રોક્યા હતા. પણ એ પછી ફરિયાદી વધારે રોકાણ કરવા માંગતો ન હતો. એટલે નફો અને મુડી આપવાનું જણાવ્યું હતું. પણ અંકિત શાહે દાવ ખેલ્યો. ફરિયાદીને કહ્યું કે, રૂ.42 લાખ સામે સવા કરોડનું નુકસાન થયું છે. એટલે તમારે સામા બાકીને પૈસા આપવાના થશે. એ પછી ફરિયાદીને સતત માનસિક ત્રાસ આપીને ઉઘરાણી કરવામાં આવી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં ફરિયાદી પાસેથી જબરદસ્તીથી રૂ.4 લાખના ચેક પડાવ્યા હતા. પછી બેંકમાં વટાવી દીધા હતા. પણ તેને રૂપિયા ન મળતા તે ઉશ્કેરાયો હતો. અંકિત શાહે મનીષ ગોસ્વામી સહિત અન્ય એક વ્યક્તિ સાથે રહી ફરિયાદી સાથે મોટો ઝઘડો કર્યો હતો. અંતે મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. એ પછી ચાંદખેડા પોલીસને તપાસ શરૂ કરી દીધી.

અમદાવાદની સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક શરૂ કરનારા વિશાલ ગોસ્વામીએ અનેક વેપારીઓ પાસેથી 8 મહિનામાં બે વર્ષ પહેલા અંદાજે રૂ.60 લાખ ની ખંડણી લીધી હતી. દર મહિને બેથી પાંચ લાખની રકમ ખંડણી પેટે જેલમાંથી ધમકી આપીને વસૂલી કરતો. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિશાલ ગોસ્વામી, તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 લોકોની હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.

