નોટબંધી સમયે રાજકોટ ડેરી દ્વારા રોકડમાં રૂપિયા 173 કરોડના વ્યવહાર કરવામાં આવ્યાં છે. આ અંગે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રાજકોટ ડેરીને રૂપિયા 173 કરોડની પેનલ્ટીની નોટિસ ફટકારી છે. તો આ અંગે ડેરીના ચેરમેન દ્વારા નોટબંધીના સમયે બેન્કની રજાના દિવસોમાં વ્યવહાર કરાયો છે તેવી માહિતી આપી છે. તેમજ આ અંગે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત પણ કરી છે. રાજકોટ ડેરી દ્વારા ઈન્કમ ટેક્સ વિભાગની અપીલમાં તમામ માહિતી અપાશે.

રાજકોટ ડેરી દ્વારા 2018-19ના વર્ષમાં શનિ-રવિની જાહેર રજામાં રોકડ વ્યવહાર થયો હતો. 103 કરોડના વ્યવહાર સામે 173 કરોડની નોટિસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને મળી રજૂઆત કરવામાં આવી છે. ગોરધન ધામલિયાએ જણાવ્યું હતું કે, અમે ઇન્કમટેક્સ વિભાગના કમિશનરને પણ મળ્યા છીએ. તેઓ કહે છે કે, રોકડમાં વહીવટ ન કરી શકાય. પરંતુ શનિ અને રવિવારે બેંકો બંધ રહેતી હોવાથી અમે શું કરીએ. અમે 8 મહિના પહેલા જ રોકડ વ્યવહાર બંધ કરી દીધો છે.

સહકારી સંસ્થાને ઇન્કમટેક્સ વિભાગે વસુલાતની નોટિસ ફટકારતા ગોરધન ધામેલિયા ડાયરેક્ટ દિલ્હી અમિત શાહને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. સાથે પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા અને જેતપુર પ્રિન્ટ એન્ડ ડાઇંગના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા સાથે હાજર રહ્યા હતા. વર્ષ 2018-19માં થયેલા રોકડ નાણાંકીય વ્યવહારોનો ઇન્કમટેક્સ વિભાગે હિસાબ માંગ્યો છે.

