ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. સ્વિમિંગપૂલ, મોલ, મલ્ટિપ્લેક્ષ, સ્કૂલ-કૉલેજ શરૂ થઈ ચૂકી છે. એટલું જ નહીં નાઈટ કર્ફ્યૂ પણ હટાવી લેવામાં આવ્યો છે. તો પછી હવે માસ્ક પહેરવાની જરૂર શું? બાળકોને પણ વેક્સિન આપવાનું કામ શરૂ કરાયું છે. બીજી તરફ મોટા ભાગની વસ્તી વેક્સિનેટ થઈ ગઈ છે. તેમ છતાં માસ્ક ન પહેરવા બદલ દંડનો નિયમ યથાવત રખાયો છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ માસ્ક પહેરવાથી મુક્તિ આપવા માંગ ઊઠી છે.
ગુજરાતમાં માસ્કની છૂટછાટ મામલે આરોગ્ય મંત્રીનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, તંત્ર છૂટ આપે એ પહેલા જ લોકોએ જાતે આ અંગે છૂટ લઈ લીધી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સિંગલ ડિજીટમાં થયા છે. સોશિયલ ડિસ્ટન્સને લોકોએ જાતે જ દૂર કરી દીધું છે. આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યા બાદ લોકોને અપેક્ષા જાગી છે. લોકોને એવી આશા છે કે, પ્રજાને માસ્ક અને તે ન પહેરવા બદલ દંડમાંથી મુક્તિ આપવામાં આવશે. બીજી બાજું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, WHO એ ગુજરાતમાં ટ્રેડિશનલ મેડીસિન તૈયાર કરવા માટે જામનગર પર પસંદગી ઊતારી છે. જે જાપાન બાદ બીજું મથક જામનગર બની રહેશે.

ટુંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેવાના છે. આરોગ્ય મંત્રી એવું પણ ઉમેર્યું કે, આવનાર સમયમાં એસ્ટાબ્લિશમેન્ટ રુલ્સ બનાવવા જઈ રહ્યા છીએ. મેડિકલ કૉલેજ અને યુનિવર્સિટીની માંગ મરચન્ટ એન્જીનિયરિંગ તરફથી કરાઈ છે. જો નિયમમાં આવતું હશે તો યુનિવર્સિટી અવશ્ય તૈયાર થશે. માસ્ક મામલે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સ હોય કે ના હોય માસ્ક નથી. લોકોએ જાતે જ છૂટછાટ લઈ લીધી છે.
શુક્રવારે સાંજ સુધીના એક રીપોર્ટ અનુસાર હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 69 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પ્રજાને માસ્કમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખાસ કરીને જરૂરી ન હોય ત્યાં માસ્કનું કોઈ રીતે ચેકિંગ પણ થતું નથી. ફેબ્રુઆરી પછી બધુ સામાન્ય થઈ જતા લોકોએ ખરા અર્થમાં રાહતના શ્વાસ લીધા છે.

