ખેડૂતો અને પશુપાલકોએ હાલ સરકાર સામે પોતાની જૂની અને મોટી માંગણીઓ સાથે રસ્તા પર ઊતર્યા છે. ઠેર ઠેર ઘરણા અને વિરોધના કાર્યક્રમો થઈ રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટી આ ખેડૂતોને સમર્થન આપીને એની પડખે ઊભી થઈ ગઈ છે. પહેલા ગુજરાતમાં એક તરફ ખેડૂતો વીજળી અને સિંચાઇના પાણી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. એ પછી પશુપાલકો પણ રખડતા ઢોર મુદ્દે પસાર થનારા બિલનો વિરોધ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા વિપક્ષ આમ આદમી પાર્ટી અનેક મોરચે આવા મુદ્દાઓ લઈને મજબુત થવા નીકળ્યો છે.
ખેડૂતો અને પશુપાલકોને પોતાની તરફ કરવા અને સરકારને ઘેરવા અનેક આમ આદમી પાર્ટીએ રણનીતિ તૈયાર કરી લીધી છે. હવે ખેડૂતોને વીજળી આપવા મામલે AAP આકરા પાણીએ છે. સરકાર સામે તે લડી લેવાના મુડમાં છે. ખેડૂતો અને પશુપાલકોના મામલે ગુજરાતની આમ આદમી પાર્ટી સરકાર સામે મેદાને ઊતરી છે અને ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી લીધી છે.
AAP નેતા સાગર રબારીએ ચીમકી આપતા કહ્યું કે 12 કલાક ખેડૂતોને વીજળી નહીં મળે ત્યાં સુધી તે બીલ નહીં ભરે. સાથે એ કહ્યું કે વીજ કંપનીઓ ખેડૂતોના કનેક્શન કાપશે તો AAP કનેક્શન જોડશે. વિરોધમાં જોડાયેલા તમામ ખેડૂતોને સાગર રબારીએ અપીલ કરી છે કે સરકારી કર્મીઓને ગામ અને ખેતરમાં પ્રવેશ ન આપવા આવે, સાથે એલાન કર્યું કે ખેડૂતોનો વીજ પુરવઠો બંધ થશે તો ઉદ્યોગો અને શહેરોનો વીજ પુરવઠો ખોરવી દેશે. જો સરકાર આવી માંગ નહીં સ્વીકારે તો નેશનલ હાઈવે ચક્કાજામ કરી દેવાની ચિમકી ઉચ્ચારી છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તાયફાઓ કરી કંપનીઓ અને ઉદ્યોગકારોને છાવરતી આ સરકાર છે. તેઓ રાજયના ખેડૂતને પાયમાલ કરવા માગે છે.

અન્નદાતામાં રોષનો માહોલ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરથી લઈને તાલુકા કક્ષા સુધી ખેડૂતોમાં રોષનો માહોલ છે. સરકારે 72 કલાકમાં જ વીજળીની સમસ્યાનો નીવેડો લાવવો એવું અલ્ટીમેટમ હવે પૂરૂ થઈ ગયું છે. રાજ્યના ઉર્જામંત્રીએ વીજળી મામલે ચર્ચા કરવા માટે 5 જેટલા ખેડૂત પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર 8 કલાક વીજળી આપે સિંચાઇ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરે. રખડતા ઢોર મુદ્દે પસાર થનારા વિધેયકનો વિરોધ પશુપાલકો કરી રહ્યા છે. આ મામલે જે તે જિલ્લાના ક્લેક્ટરને પણ લેખિતમાં અરજી કરી હતી. રસ્તે રખડતા ઢોર અંગે કોઈ બિલ પાસ ન કરવા ક્લેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાનું વિધાનસભા ગૃહમાં નિવેદન. કનુ બારૈયાએ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં વીજળીના 200 કોલ દરરોજ આવે છે. હાલ મત વિસ્તારમા ન જઇ શકીએ એવી સ્થિતિ ઉભી થઇ છે. હવે આમ આદમી પાર્ટીએ ખેડૂત અને માલધારી સમાજના પ્રશ્નોને ટેકો આપીને સરકાર સામે રણશીંગું ફૂક્યું છે.

