ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ નેતાઓ પણ પ્રજા વચ્ચે પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજુ ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. પણ ભાજપે તૈયારીઓ એવી રીતે ચાલું કરી છે કે, જાણે આવતીકાલે જ ચૂંટણી થવાની હોય. ચૂંટણીલક્ષી નિવદેન આવવાના શરૂ થઈ ગયા છે. એવામાં સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટીલે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એમાં જો સત્તા પર ભાજપ આવશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે એને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આગામી સમયમાં સી.આર. પાટીલ મુખ્યમંત્રી તરીકે રહેવાની સંભાવનાઓ વચ્ચે જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, નાયક માત્ર એક જ બની શકે. અન્ય કોઈ બીજાએ હિંમત પણ ન કરવી જોઈએ. આપણા નાયક વડાપ્રધાન મોદી છે. હું જ્યાં છું ત્યાં ઠીક છું. મને જવાબદારી મળી એ નિભાવવા પગલાં ભરૂ છું. મને સફળતા મળશે એવો મને વિશ્વાસ છે.

સુરત શહેરમાં રાજસ્થાન દિવસની ઉજવણીને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર ખાસ રહ્યા હતા. રાજસ્થાન દિવસ હોવાથી મોટી સંખ્યામાં રાજસ્થાની ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાની ગીત સંગીતનો પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રસંગે પાટીલ બોલ્યા હતા કે, તમે પીએમ મોદીને સુરતમા જોવા માંગો છો તો અમે સુરતમાં પીએમ મોદીને આવવા આમંત્રણ આપીશું. જોકે, ધીમે ધીમે દરેક પક્ષના નેતાઓ જે તે જાહેર કાર્યક્રમમાં હાજરી દેવા લાગ્યા છે. જેમાંથી પછી ચૂંટણીલક્ષી વાતો થાય છે.
આ પહેલા રાજકોટ સિટીમાં યોજાયેલા સમુહ લગ્નમાં પાટીલ આવ્યા હતા. જ્યાં તેમણે દીકરી અંગેની સરકારની જુદી જુદી યોજનાઓ અંગે વાતચીત કરી હતી. પણ એરપોર્ટ જ્યારે તેઓ આવ્યા ત્યારે એમને થોડું ગમ્યું નથી કારણ કે, માત્ર શહેરના મેયર અને શહેર પ્રમુખને જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. પણ ત્યા જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાને જોઈને પાટીલને ગમ્યુ નહીં. બધાને સ્વાગત માટે બોલાવ્યા છે એવું કહીને શહેર પ્રમુખને ખુલાસો પૂછ્યો હતો. પછી આ મુદ્દો મીડિયા સુધી પહોંચ્યો હતો. પછી અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.

