મહાનગર સુરતમાંથી લાજપોર જેલની બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી જનાર નાનપુરાનો માથાભારે અને વોન્ટેડ આરોપી સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. શુક્રવારે પોલીસની ટીમે સમગ્ર મકાનને ઘેરીને સાડા ત્રણ કલાક સુધી ઑપરેશન કર્યું હતું. સજ્જુ પોતાના જ ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં સંતાયો હતો. આ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે ગુસીટોકના આરોપી સમીર શેખને પણ ઝડપી પાડ્યો છે.

આરોપીએ પોલીસથી બચવા માટે રૂમમાં શૉ કેસની આડમાં અંદરના ભાગે એક ગુપ્ત રૂમ બનાવીને રાખ્યો હતો. પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવીને અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. જ્યારે ઘરના જ બીજા રૂમમાં બહારની સાઈડમાં તાળું મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. આ પહેલા રાંદેર અને આઠવા પોલીસ ટીમે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી લીધી હતી. તા.28 જાન્યુઆરીના રોજ તે જામીન મુક્ત થયો હતો. પછી પોલીસે અટકાયતી પગલાં લેવા માટે સજ્જુને જેલની બહારથી પકડી લેતા ભાઈ અને સાગરિતો એને ભગાડવા માટે પોલીસ સાથે માથાકુટ કરી બેઠા હતા. પછી આરોપીને ભગાડી ગયા હતા. સજ્જુ પર કુલ 35 ગુનાઓનો આરોપ છે. પહેલી વખત સુરતમાં એના ઘરથી જ આરોપી ઝડપાયો છે. આ પહેલા નાગુપર અને મુંબઈથી પકડાયો હતો. સજ્જુ એના ઘરે જ છુપાયો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે શુક્રવારે બપોરે 1 વાગ્યે ટીમ તૈયાર કરી હતી. ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો આ ઑપરેશનમાં જોડાયા હતા. સજ્જુ નાનપુરાના જમરૂખગલીના નિવાસ સ્થાને છુપાયો હતો. એટલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી.

ઘરની બહાર જોત બિલ્ડિંગનો મુખ્ય દરવાજો બંધ રહ્યો હતો. આ દરવાજા પર કાંટારૂપી લોઢાના ખિલ્લા જોવા મળ્યા હતા. આ પછી પોલીસ પરત ફરી શકે એમ હતી. પછી પોલીસે એક સીડી મંગાવી અને ACP સરવૈયા એના પર ચડી ગયા હતા. મુખ્ય દરવાજો ક્રોસ કરીને પહેલા દરવાજે પહોંચ્યા. આ રીતે કુલ 10 જવાનો પહેલા માળે પહોંચ્યા. દરવાજાને તાળુ મારેલું હતું પણ પોલીસે દરવાજો ખખડાવ્યો. પોલીસે કહ્યું કે, સજ્જુનું વોરંટ છે દરવાજો ખોલો નહીં તો તોડી નાંખીશું. દરવાજો ન ખૂલ્યો એટલે બારીનો કાચ તોડી નાંખ્યો. કાચ તૂટતા જ દરવાજો ખોલ્યો હતો. પછી ACP સહિત 20થી વધારે પોલીસ જવાનોએ પાંચ માળની ઈમારત 10થી વધારે વખત ફેંદી મારી. પણ સજ્જુ મળ્યો નહીં. પછી પોલીસે ફ્લોરિંગ ચેક કર્યું હતું. પણ ચોક્કસ બાતમી હતી એટલે પૂરી રીતે એની શોધખોળ કરી. મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તો ત્યાં એક ટીવી હતું.

એની બાજુમાં એક શૉ કેસ હતો. જેની સાઈડમાં એક લાકડાનો દરવાજો હતો. જેને ધક્કો માર્યો તો જોતા એ દરવાજો ખૂલ્યો નહીં. પછી પોલીસ દરવાજો ખખડાવ્યો. જેમાં અંદરથી એક બોદો અવાજ આવ્યો. પછી ફર્નિચરની અંદર દિવાલ હોવાનો ભાસ થયો. તેથી પોલીસને આશંકા ગઈ કે, અહીં લાકડાનો દરવાજો છે. એની અંદર સજ્જુ હોવો જોઈએ. પોલીસે બૂમ પાડીને દરવાજો ખોલવા માટે કહ્યું હતું. પણ દરવાજો ખુલ્યો નહીં. પછી પોલીસે દરવાજો તોડી નાંખ્યો. અંદર સજ્જુ કોઠારી બેઠો હતો. સાડા ત્રણ કલાક બાદ ઑપરેશન પૂર્ણ થયું હતું. બેવ ઈમારત સજ્જુની હતી. પછી સલીમ શેખ પણ ઝડપાયો હતો.

આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોઢાનો ગેટ બનાવી દીધો હતો. સરકારી જમીન પર સજ્જુએ 7520 ચો.મીટર જેટલી જમીન પર દબાણ કર્યુ હતું. જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો હતો. જેને લઈને કલેકટર કચેરીમાં ફરિયાદ થઈ હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરતા સમગ્રા મામલો ખુલ્યો હતો. સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી (રહે, શાલીમાર કોમ્પલેક્સ, નાનપુરા)ની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સિવાય સજ્જુ કોઠારીએ કાપડના વેપારીએ ધંધા માટે 4 ટકા માસિક વ્યાજે રૂ.14 લાખ ન ચૂકવી શકતા મોતને ઘાટ ઊતારી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આ ટપોરીના ડરથી વેપારીએ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. આ કેસમાં સજ્જુ સહિત બે વ્યક્તિ સામે ગુનો ફાઈલ થયો છે. આરિફ કુરેશી પાસે ખંડણી પેટે 7.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એક બિલ્ડરે સજ્જુ પાસેથી 60 લાખના 72 લાખ આપી દેવા છતાં પૈસા માંગતો હતો.

