બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સમયાંતરે બેંક કર્મચારીઓ હડતાળ પાડી રહ્યા છે. હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મૂડમાં વિરોધ કરતા જોવા મળશે. નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ 28 અને 29 માર્ચ એમ બે દિવસ નેશનલાઇઝ બેંકના કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના છે. તેથી બે દિવસ માટે બેંકનું કામકાજ ખોરવાશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરીને રૂ.1.75 લાખ કરોડનું ફંડ ઊભું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને બેંક એમ્લોયી ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયી એસો. તરફથી આ પ્રકારની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. જેમાં જિલ્લાથી લઈને પાટનગર સુધી અને મહાનગરથી લઈને રાજધાની સુધીના તમામ શહેરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિરોધ આંદોલનમાં જોડાશે. ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ હવે હડતાળનું શસ્ત્ર ઊઠાવ્યું છે. જોકે, આ મામલે હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ સામે આવ્યો નથી. તા. 28 અને 29 માર્ચ એમ બે દિવસ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. એ પછી તા. 26 અને 27 માર્ચે શનિવાર અને રવિવારની રજા આવે છે. એટલે બેંકમાં રજા જ હશે. આમ કુલ ચાર દિવસ બેંકોનું કામકાજ બંધ રહેતા લાખો કરોડો રૂપિયાના વ્યવહાર ચાર દિવસ માટે અટકી જવાના છે. તા.28 અને 29 માર્ચે નેશનલાઇઝ બેંકના કર્મીચારીની હડતાળને ગુજરાત બેંક વર્કર યુનિયન તરફથી સમર્થન જાહેર કરીને ટેકો અપાયો છે. મહાનગર સુરતની નેશનલાઇઝ બેંકો પણ આ બંને દિવસે હડતાળ પાડશે. વિરોધમાં જોડાશે અને કામકાજથી દૂર રહેશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, મહારાષ્ટ્ર બેંક, અલ્હાબાદ બેંક જેવી રાષ્ટ્રીયકૃત બેંકો સતત એકધારા ચાર દિવસ સુધી બંધ રહેવાના કારણે ખાતેદારોને આર્થિક વ્યવહારમાં મુશ્કેલી પડશે.

જેના કારણે બેંકના કામને લઈને ચાર દિવસ માટે હાલાકી વેઠવી પડશે. બીજી બાજું લાખો કરોડો રૂપિયાનું ક્લિયરિંગ અટકી પડશે. સરકારે આ વખતેના બજેટમાં બેંકોના ખાનગીકરણનું એલાન કરી દીધું હતું. જોકે, મર્જર બાદ આ મોટી હડતાળ માનવામાં આવે છે. આવનારા વર્ષમાં 2 બેંકોના ખાનગીકરણનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ખાનગીકરણની લીસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીજ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક જેવી જાણીતી બેંકના નામ હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી ખાનગીકરણના લીસ્ટમાં બેંકોની ફાઈનલ યાદી હજુ તૈયાર નથી. એટલે કેટલાક ફેરફારનો અવકાશ માની શકાય છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.1 ફેબ્રુઆરીએ 2021-22 નું બજેટ રજુ કરતા સાર્વજનિક સેક્ટરની 2 અને એક સાધારણ વીમા કંપનીને પ્રાયવેટ બેનર હેઠળ લઈ જવા માટે પ્રયાસ થશે.

