અમદાવાદમાંથી સૈન્યના જવાન સાથે છેત્તરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યે છે. જેમાં આર્મીના લે.કર્નલે OLXપર પોતાનો સોફો વેચવા માટે મૂક્યો હતો. જે ખરીદવાના બહાને ભેજાબાજોએ આર્મી ઓફિસરના ખાતામાંથી રૂ.3 લાખની મોટી રકમ સેરવી લીધી. મુળ બેંગ્લોરના અને એક વર્ષથી અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા અર્જુન અનંતરામ શાસ્ત્રી ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ પોસ્ટ પર છે.
ગત તા. 1લી માર્ચે જુનો સોફો OLX પર વેચવા માટે મુક્યો હતો. જેન બીજા દિવસે ભેજાબાજોએ રૂ.35000માં એને ખરીદવા માટેની તૈયારી દેખાડી. પછી પે-ટીએમથી પેમેન્ટ કરવાનું કહીને કોડ મોકલ્યો અને પછી કર્નલના ખાતામાંથી પૈસા જતા રહ્યા. આપવામાં આવેલો કોડ કર્નલે સ્કેન કરતાં જ તેમના એકાઉન્ટમાંથી પહેલા રૂ.24500 કટ થઈ ગયા હતા. એ જ ટ્રાંઝેક્શનમાં ફરી રિફંડ આપવાના બહાને વધુ બે કોડ મોકલીને ચાર ટ્રાન્ઝેક્શનથી એ પછી રૂ.51000 સરકાવી લીધા હતા. એ પછી પણ પૈસા પાછા આપવાનું કહીને બીજા ખાતાની જાણકારી માંગી બીજા ખાતામાંથી ગઠિયાઓએ અર્જુન શાસ્ત્રીના SBI બેંકના બીજા ખાતામાંથી રૂ.98,666 ના ત્રણ ટ્રાન્ઝેક્શન કરી પૈસા ખંખેરી લીધા છે. જેના કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ અંગે જ્યારે કર્નલે પુછ્યું તો ભેજાબાજોએ કહ્યું કે, ભૂલથી પૈસા કપાઈ ગયાં છે. પછી એ રકમને પાછી આપવા માટે બીજા ખાતાની વિગત માંગી હતી. અર્જુન શાસ્ત્રીએ તેમના મિત્ર સંદિપ વર્માનો નંબર આપી દીધો હતો. એટલે ભેજાબાજોને લાગ્યું કે આ એમનું એકાઉન્ટ છે પણ એમના ખાતામાંથી પણ રૂ.40500 સેરવી નાંખતા ફ્રોડ છતું થયું હતું.

એ પછી બીજા મિત્ર શિવાંગી શર્માના એકાઉન્ટમાંથી 80,000 ટ્રાન્સફર પોતાના બીજા એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાંસફર કરી દેવામાં આવ્યા હતા. ઓનલાઈન ફ્રોડનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પછી કર્નલે પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા ગુમાવેલા પૈસા પાછા આપવાની વાત કરી ત્યારે ભેજાબાજોએ કહ્યું કે, વાતચિતમાં તમારી સાથે આખો દિવસ બગડયો અને ધંધાનો સમય બગડયો છે. પછી સાંજે ફોન બંધ કરી દીધો હતો. જેથી કર્નલે સાઈબર ક્રાઈમ અમદાવાદમાં અજાણ્યા શખ્સો સામે કુલ ત્રણ લાખની ઠગાઈ કર્યાની કાયદેસરની ફરિયાદ કરી છે.

