ગુજરાતીની એક કહેવત છે કે, શેઠની શિખામણ ઝાપા સુધી. આવો ઘાટ જોવા મળ્યો રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાં. ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GMDC ગ્રાઉન્ડમાં એક મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટાયેલા મહિલા સરપંચ જ પોતાનું કામ કરે. સરપંચના પતિ નહીં. પણ વડાપ્રધાન મોદી દિલ્હી રવાના થયા એના બીજા જ દિવસે રાજકોટ જિલ્લા પંચાયતમાં આ શિખામણ જાણે ભૂલાઈ ગઈ હોય એવો ઘાટ જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની સોમવારે બેઠક યોજાઈ હતી જેમાં કુલ 13 મહિલા સભ્યમાંથી પાંચ મહિલા સભ્ય ગેરહાજર હતા. એના બદલે પાંચ મહિલા સભ્યના સ્થાને એના પતિદેવ બિરાજમાન થયા હતા. ચૂંટાયેલી મહિલાઓ ગેરહાજર હતી. રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં આ ચિત્ર જોવા મળ્યું છે. જેમાં કુલ 13 મહિલા સભ્યમાંથી પાંચ હાજર ન રહી. જેમાં દક્ષાબેન રાદડિયાના બદલે એના પતિ પરેશ રાદડિયા હાજર હતા. સુમિતા ચાવડાના બદલે એના પતિ રાજેશ ચાવડા હાજર હતા. અલ્પા તોગડિયાના બદલે પતિ મુકેશ તોગડિયા હાજર હતા. જ્યારે અશ્વિનાબેન ડોબરિયાના બદલે પતિ જનક ડોબરિયા હાજર રહ્યા હતા. જ્યારે પ્રવિણાબેન રંગાણીને બદલે પતિદેવ સંજય રંગાણી હાજર હતા. પણ સમગ્ર મામલે જે કારણ આપ્યું એ રાજકોટની પ્રજામાં ચર્ચામાં છે. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ આ અંગે લુલો બચાવ કરી કહ્યું કે, મોટાભાગની મહિલાઓ નિરક્ષર હોય છે. એટલા એના પતિ હાજર રહે છે. પછી એવી ચોખવટ કરી કે, વડાપ્રધાન મોદીની સૂચનાનો અમલ કરવા માટે પણ ચર્ચા થઈ છે. આવનારા દિવસોમાં મહિલાઓ હાજર રહેશે.

જિલ્લા પંચાયતની આ સંકલન બેઠક મનસુખ ખાચરિયાએ બોલાવી હતી. પ્રમુખ અને સભ્યો વચ્ચે સંકલનના અભાવના મુદ્દે આ બેઠક મળી હતી. પણ મહિલા સભ્યના બદલે એના પતિદેવ બિરાજમાન થયા હતા. જે મુદ્દો ચર્ચમાં રહ્યો હતો. જોકે, આવું માત્ર જિલ્લા પંચાયતની બેઠકમાં જ જોવા નથી મળતું. કોર્પોરેશનમાં પણ મહિલા કોર્પોરેટરની ચેમ્બરમાં એના પતિદેવ ‘વહીવટ’ કરતા હોય છે. એટલે પદ પત્નીનું અને કદ પોતાનું મોટું કરવાની અહીં વાત છે. જેને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીએ પણ આ મામલે ટકોર કરી હતી.

