દ્વારકામાં કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનો કાલથી પ્રારંભ થયો છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં પહોંચ્યાં હતાં. જેમાં રાહુલ ગાંધીએ પક્ષપલટુઓ ઉપર આકરો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, જેને પક્ષ છોડીને જવું હોય તે જઈ શકે છે. કોંગ્રેસમાં કામ કરનારને જ સ્થાન આપવામાં આવશે.

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારકા આવ્યાં હતાં. જામનગર એરપોર્ટ ઉપર ધારાસભ્ય વિક્રમભાઈ માડમે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી તે દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળ્યાં હતાં. દ્વારકાધીશના દર્શન કરીને દ્વારકાધીશની ધ્વજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો હતો. ચિંતન શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ શ્રી કૃષ્ણને યાદ કરીને પક્ષ છોડનારાને કૌરવો ગણાવ્યાં હતાં. તેમજ કોંગ્રેસને બચાવવા માટે 25થી 30 લોકોની જ જરૂર છે.

દ્વારકાધીશની ધ્વજાજીના પૂજા વિધિ અને પાદુકા પૂજન કર્યાં બાદ રાહુલ ગાંદી દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુંકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં પહોંચ્યાં હતાં. કોરોના મહામારીને લઈ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાના કારણે ગુજરાતમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતાં. ગુજરાત મોડેલમાં બેડ અને ઓક્સિજન સિલિન્ડર કેમ ન મળ્યાં. ગુજરાતની તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો હતા. જે તાકાતને નરેન્દ્ર મોદીએ તોડી નાંખી છે.

2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહીં. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યાં છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા તમે અહીં લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. તેમણે ભાજપનો ઉલ્લેખ કર્યા વિના જ શ્રીકૃષ્ણનું ઉદાહરણ આપીને ભાજપ ઉપર પ્રહારો કર્યાં હતાં. તેમણે કોંગ્રેસને છોડનારાને કૌરવ ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે, શ્રી કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના અસત્યની સાથે હતી. આજે તેમની પાસે સેનારૂપે ઈડી, સીબીઆઈ,મીડિયા છે. આપણી પાસે કશું નથી.

કોંગ્રેસમાં અમુક નેતાઓ એસીમાં બેસી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આવા નેતાઓ મારા ધ્યાનમાં છે. ટૂંક સમયમાં આવા નેતાઓ પાર્ટીમાંથી સાઈડ લાઈન થઈ જશે અને કામ કરનારા નેતાઓને જ આગળ વધારવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. જે નેતા સુધરશે નહી તેને ભાજપમાં જવા દઈશું. તેમજ આગામી વિધાન સભા પૂરી તાકાત લગાવી જીતી લેવા ભાર મુક્યો હતો.

