ભાવનગર જિલ્લામાં છેલ્લા એક માસથી તમામ તાલુકાઓના માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની વ્યાપક પ્રમાણમાં આવક થઈ છે. જેના કારણે માર્કેટયાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયું છે. ડુંગળીની મબલક આવકને જોતા આગામી બે દિવસ સુધી ડુંગળીની આવકને બંધ કરાઈ છે.

રાજ્યમાં ડુંગળીની સૌથી વધુ આવક ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા, તળાજા, પાલીતાણા અને જેસર પંથકમાં સૌથી વધું ડુંગળીનું વાવેતર કરાઈ રહ્યું છે. હવે ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે. જેના પગલે ભાવનગર જિલ્લાના તમામ માર્કેટ યાર્ડો ડુંગળીની મબલક આવકથી ચિક્કાર ભરાયા છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક થતા શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ માટે ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જ્યારે હરાજી શરૂ રહી હતી.

આ અંગે યાર્ડના ચેરમેન નરેન્દ્રસિંહે જણાવ્યું છે કે, અત્યારે માર્કેટયાર્ડમાં ડુંગળીની 50થી 60 હજાર જેટલી બોરીઓ આવી રહી છે તથા ડુંગળીની બોરીઓ વાસી થાય તે પછી વહેચવી પડે નહીં અને ખેડૂતો તથા વેપારીના હિતને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ સુધી ડુંગળીઓ લાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જો કે હરાજી શરૂ છે.

