પાડોશી રાજ્ય રાજસ્થાનના રાજસમંદની 13 વર્ષની શિવાંગી હવે સાધ્વી બની રહી છે. હવે તે સાંસારિક જીવન છોડીને સંયમનો માર્ગ અપનાવશે. તા.17 ફેબ્રુઆરી તે બ્યાવરમાં તેઓ દીક્ષા લેશે. શિવાંગીને 46 સાધુ અને સાધ્વી દીક્ષા અપાવશે. શિવાંગી હાલ રાજસમંદ જિલ્લાના લંબોડી ગામે રહે છે. પિતા અંકિતભાઈ સોની છે. ગન્ના જ્વેલરીનો વ્યવસાય કરે છે. તા. 25 ફેબ્રુઆરી 2009ના રોજ શિવાંગીનો જન્મ થયો હતો.
તે પોતાના 14માં જન્મદિવસના આઠ દિવસ પહેલા સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવશે. માતા પિતાએ કહ્યું કે, શિવાંગીને નાનપણથી જ ધાર્મિક પુસ્તક વાંચવામાં રસ હતો. નાનપણથી તેણે જૈન સાધુઓની સભામાં જઈને એના પ્રવચન સાંભળ્યા હતા. વર્ષ 2019માં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પરિવારના લોકોએ આ વાત સાંભળી ત્યારે એ પણ ચોંકી ગયા હતા. શિવાંગીને એ સમયે થોડું સમજાવી પણ માની નહીં. જૈન સાધ્વીઓની સેવામાં લાગી ગઈ હતી. છ મહિના સુધી જૈન સાધ્વીઓની સેવામાં સાથે હતી. 400 કિમીની પદયાત્રા પણ એમની સાથે કરી ચૂકી હતી. હવે તે તા.17 ફેબ્રુઆરીએ બ્યાવરમાં દીક્ષા લઈ સંસાર છોડશે. દીક્ષા લઈ રહેલી શિવાંગીએ ચોથા ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. તે સેન્ટ પોલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલનો અભ્યાસ છોડીને જૈન સંત સાધ્વીઓના સંપર્કમાં રહીને શિક્ષા લેવાનું શરૂ કર્યું હતું. પછી સાંસારિક જીવનમાંથી રસ ઓછો થઈ ગયો હતો.
શિવાંગીએ કહ્યું હતું કે, મને ઘણા લોકો કહે છે, તું આટલી નાની ઉંમરમાં કેમ દીક્ષા લે છે? થોડી મોટી થઈને લે જે, મારું કહેવું છે કે હું નાની છું, પણ તમે તો મોટા છો. તમે કેમ હજી પણ આ મોટા સંસારમાં બેઠા છો? મૃત્યુનું કનેક્શન જેમ ઉંમર સાથે નથી. એવી જ રીતે દીક્ષાનું કોઈ કનેક્શન ઉંમર સાથે નથી. દેશની સુરક્ષા કરનારા જવાનોને પૂછીને આવો કે શું ઘરે બેઠા તેઓ દેશની સુરક્ષા કરી શકશે? સોલ્જરથી તમને એ જ જવાબ મળશે કે ઘરે બેઠા સુરક્ષા સંભવ નથી એટલે મારા માટે પણ ઘરે રહીને ધર્મની સેવા કરવાનું સંભવ નથી. તા.13થી 17 ફેબ્રુઆરી સુધી આ દીક્ષા સમારોહ ચાલશે.

તા.17 ફેબ્રુઆરીએ વિજય પદ્મભૂષણ રત્નસૂરિશ્વર મહારાજ અને આચાર્ય વિજયનિપુણરત્નસૂરિશ્વર મહારાજ સહિત આદિ ઠાણા 46 જૈન સાધ્વીની હાજરીમાં શિવાંગીને દીક્ષા અપાશે. દીક્ષા લેનારને મુમુક્ષુ કહેવામાં આવે છે. એમના પરિવારમાંથી અત્યાર સુધીમાં 2 પેઢીના કુલ 10 લોકો દીક્ષા લઈ ચૂક્યા છે. દાદા-દાદી, 5 ફૈબા, 2 કાકા સંયમ પથ સ્વીકારી ચૂક્યા છે. હવે ત્રીજી પેઢીની અગીયારમી વ્યક્તિ દીક્ષા લઈ રહી છે. જોકે, એના આ નિર્ણયથી એમની માતા પણ ખુશ છે.

