પાક. મરીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. આજે પાકિસ્તાન મરીને આઈએમબીએલ નજીકથી ભારતની બે બોટ અને 12 માછીમારોનું અપહરણ કર્યું છે. બે દિવસ પહેલા પણ પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા ભારતની 2 બોટનું અપહરણ કર્યું હતું. ત્યારે વારંવાર પાક મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણની ઘટનાથી માછીમારોમાં પણ રોષ ફેલાયો છે.

આજે બપોરના સમયે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ભારતની બે બોટ માછીમારી કરી રહી હતી. ત્યારે પાકિસ્તાન મરીન એજન્સીએ આઈએમબીએલમાં પ્રવેશી આ બંને બોટ અને 12 માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ ગઈ હતી. આ બોટ ઓખાની હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પણ સત્તાવાર રીતે આ બોટ ક્યાંની હતી તે અંગે કોઈ વિગત મળી રહી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોની બે બોટ અને 12 માછીમાર તો છેલ્લા 10 દિવસમાં 6 બોટ અને 4 જેટલા માછીમારોનું અપહરણ પાક. મરીન દ્વારા કરાયું છે. હજુ થોડા દિવસો પહેલા જ પાકિસ્તાને ભારતીય માછીમારોને તેની જેલમાંથી મુક્ત કરીને ભારત મોકલ્યાં હતાં. ત્યારે પાછળથી પાક. મરીન દ્વારા અપહરણની ઘટના વધતા માછીમારોમાં પણ રોષ ફેલાયો છે.

