મોરબી શહેરની શાન સમાં મણીમંદિર પાસે ગેરકાયદે દબાણ થઇ રહ્યું છે. અને આ દબાણ દિવસે દિવસે આગળ વધી રહ્યું છે. આ બાબતે હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિના સદસ્યો અને સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અને મંદિર પાસે ખડકાયેલ દબાણ દુર કરવા માંગણી કરી રહ્યા છે. આ બાબતે અગાઉ અનેકવાર જિલ્લા કલેકટર,નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરવા છતા સબંધિત વહીવટી તંત્ર દ્વારા આ દબાણ દુર કરવામાં આવી રહ્યું નથી. પાલિકા માત્ર નોટીસ આપી સંતોષ માની રહ્યું છે. કલેકટર પણ આ બાંધકામ હટાવવા આદેશ કરવાના બદલે આંખ આડા કાન કરી રહ્યા હોવાથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આ હેરીટેજ બચાઓ સંઘર્ષ સમિતિ તેમજ કાજલ હિદુસ્તાની દ્વારા તાત્કાલિક દબાણ હટાવવાની માંગ સાથે ધરણા કર્યા હતા અને સબંધિત વિભાગ પર આ દબાણ હટાવવા એક્શન ન લઇ તેને વધુ દબાણ કરવા છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે સંઘર્ષ સમિતિ દ્વારા પણ જો વહેલી તકે આ દબાણ દુર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ છે.

