ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે સાંજના સમયે એક અલ્ટોકાર અને લક્ઝરી બચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. મૃતકોમાં એક પુરૂષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. મૃતક યુવતીના તા.10 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા.આ પરિવાર એક લગ્ન પ્રસંગ હાજરી આપવા માટે ગયો હતો. જ્યારે ત્યાંથી તે પરત આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
બે વ્યક્તિઓના મોતને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યુવતીની ડોલી ઊઠે પહેલા જ અર્થી ઊઠી હતી. શંખેશ્વરના ટુવડ ગામનો પરિવાર રાધનપુરથી સમી બાજુ અલ્ટો કારમાં આવી રહ્યો હતો. એ સમયે વરાણા ખોડિયાર માતાના મંદિર બાજું જવાના રસ્તે રાધનપુર બાજુ જઈ રહેલી એક લક્ઝરી બસ સાથે કાર અથડાઈ ગઈ હતી. જેમાં કારનું કાગળનું જે પડીકું વળી ગયું હતું. આ અકસ્માતની જાણ થતા જ વરાણા ગામના યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અલ્ટોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવા કામગીરી હતી. ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કારમાં બેઠેલા પાંચમાંથી નિકુલભાઈ તથા હેતલબેનના અકસ્માતમાં મોત નીપજ્યા છે. જ્યારે ખુશી સોલંકી, વર્ષાબેન નિકુલભાઈ સોલંકી તથા કાશીબેન સોલંકીને ગંભીર ઈજા થઈ છે. તેથી એમને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બસ ચાલકની તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની સ્થિતિ જોતા એવું લાગે કે, ભાગ્યે જ કોઈ બચ્યું હશે. અલ્ટોકારનો ડ્રાઈવર સુધીના ભાગનો કુડચો બોલી ગયો હતો.

જ્યારે ઉપરનો ભાગની એવી જોરદાર ટક્કર થઈ હતી કે, કારના તમામ કાચ તૂટી ગયા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. હાઈવે પર ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. છેલ્લા થોડા સમયથી હાઈવે પર અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા પાલનપુર રોડ પર જીવલેણ અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. જ્યાં સામેથી આવેલી રહેલા ટ્રક અન કાર વચ્ચે અકસ્માત થયો હતો.

