ભાવનગર જિલ્લાના તમામ યાર્ડોમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની ભરપુર આવક થઈ છે. ભાવનગર યાર્ડમાં દૈનિક 20 હજાર ડુંગળીનું બોરીઓનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોને હરાજીમાં વક્કલ પ્રમાણે ભાવ મળી રહ્યો છે પ્રતિમણના સરેરાશ 160થી 555 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળીની વ્યાપક માત્રામાં આવક શરૂ થઈ છે. દૈનિક 20 હજાર ડુંગળીની બોરીની આવક થઈ છે. ત્રણ દિવસમાં 60 હજારથી વધુ બોરીઓનું વેચાણ થયું છે. ગત ચોમાસામાં વાવાઝોડાના કારણે ધોવાયેલા ખેતરોમમાં ફરીથી વાવેતર કરાતા ઉત્પાદન ઓછુ થયું હોવાનું સામે આવ્યું છે.

ત્રણ દિવસથી ભાવનગર જિલ્લાના તમામ યાર્ડોમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે. પાણીતાણા, તળાજા અને મહુવા પંથકના ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો યાર્ડમાં વેચવા માટે આવી રહ્યાં છે. તાલુકા કક્ષાએ આવેલા યાર્ડોમાં ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવો નહીં મળતા ભાવનગર યાર્ડમાં પોતાની જણસો વેચવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દૈનિક થતી હરાજીમાં ખેડૂતોને વક્કલ પ્રમાણે ભાવો મળી રહ્યાં છે. આ વર્ષે ઉત્પાદન ઓછુ હોવાના કારણે સરેરાશ રૂપિયા 160થી રૂપિયા 555 પ્રતિમણના ભાવો ખેડૂતોને મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

