મોરબી જિલ્લામાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવ્યો છે.એક્ટીવ કેસ 300નો આંકડાઓ વટાવી ગયા છે.જેના કારણે એક તરફ તંત્ર કોરોનાના કેસ કાબુમાં રહે તે માટે લોકોને ભીડભાડથી દુર રહેવા અપીલ કરી રહી છે તો બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઉત્તરાયણ અને બીજા દિવસે ઉજવણી માટે ધાબા,અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય છે. લોકો એકત્રીત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતાને લીધે તા.17 જાન્યુઆરી સુધી સમગ્ર મોરબી જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા અનુસાર કોઇપણ જાહેર સ્થળો,ખુલ્લા મેદાનો,રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે. માસ્ક વિના કોઇપણ વ્યક્તિને મકાન,ફ્લેટના ધાબા અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રીત થઇ શકશે નહીં ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝની વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે.
મકાન,ફલેટના ધાબા,અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહિશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહી. ફ્લેટ,રહેણાંક સોસાયટી સંબંધિત કોઇપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી ફ્લેટના સેક્રેટરી અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મકાન ફ્લેટના ધાબા અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન ફ્લેટના ધાબા-અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યક્તિઓ અન્ય રોગોથી પીડીત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે. કોઇપણ વ્યક્તિ જાહેરજનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો સ્લોગન ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટ તથા NGTની સૂચનાઓ ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન્સ સિન્થેટીક, કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પર પ્રતિબંધિત રહેશે. આ અંગે ગૃહ વિભાગના તા.06 /01/2022તેમજ જિલ્લા કલેકટર કચેરી દ્વારા તા.07/01/2022ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. COVID – 19 સંદર્ભે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે તથા જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી.મારફતે પણ સર્વેલન્સ રાખવાનું રહેશે.

