હાલમાં ભારતમાં કોરોના વાયરસના 8 લાખથી વધુ સક્રિય કેસ છે. તેને ધ્યાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી છે. PM મોદી મંગળવારે સાંજે 4 વાગ્યે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. જેમાં તેઓ જે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે કોવિડના વધી રહેલા કેસ અંગે ચર્ચા વિચારણા કરશે.
શનિવારે પણ વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના 1 લાખ 68 હજાર 63 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 277 કોરોના દર્દીઓના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 69 હજાર 959 સંક્રમિત પણ સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 8 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોવિડ-19ના 8 લાખ 21 હજાર 446 સક્રિય કેસ છે. તે જ સમયે, કોરોના વાયરસની સકારાત્મકતા દર ઘટીને 10.64% પર આવી ગયો છે. ગત દિવસની તુલનાએ ભારતમાં ઈન્ફેક્શન રેટ લગભગ 3 ટકા નીચે આવ્યો છે. સોમવારે દેશમાં કોવિડ-19નો ઈન્ફેક્શન રેટ 13.29 ટકા હતો. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 33 હજાર 470 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળમાં છેલ્લા 1 દિવસમાં કોરોનાના 19 હજાર 286 કેસ નોંધાયા છે. આ સિવાય દિલ્હીમાં 19 હજાર 166 નવા કોવિડ કેસ, તમિલનાડુમાં 13 હજાર 990 અને કર્ણાટકમાં 11 હજાર 698 નવા કેસ નોંધાયા છે. એક રીપોર્ટ અનુસાર દિલ્હીમાં સરકારી તથા ખાનગી કચેરીઓ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસમાં વધારો થતા મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ યોજી હતી. દિલ્હી સરકારે યોગ પાઠશાળા શરૂ કરવાની સાથે તમામ ખાનગી ઓફિસ બંધ રાખવા માટે આવ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ સંબંધી કચેરીઓ સિવાય તમામ કચેરીઓ દિલ્હીમાં બંધ રહેશે.આ ઉપરાંત ફૂડ સ્ટોલ, રેસ્ટોરાં અને બાર પણ બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ફૂડ પાર્સલ જ કરી શકાશે. રેસ્ટોરાંમાં બેસીને જમી શકાશે નહી.

