અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગોઝારી ઘટના બની છે. ધોળકાથી બગોદરા હાઈવે પર ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી છે.આ ઘટના બનતાં જ 108ને જાણ કરાઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. ઈકો ગાડીમાં બેઠેલા ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા.
મૂળ ખેડા જિલ્લાના વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને કરવા જતો હતો. આ દરમિયાન અમદાવાદ પાસે ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારે ઈકો કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ કુલ પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે આ ઘટનાસ્થળમાં વધુ તપાસ હાથ ધરી છે. ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, 10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકાએક ટ્રક પાછળ એક તૂફાન કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા.

તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્તોને સરકારે સહાયની જાહેરાત કરી છે. જોકે, છેલ્લા પાંચ દિવસથી રાજ્યના કોઈને કોઈ હાઈવે પર જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે.

