સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી કેમિકલની અસરથી છ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે 23થી વધારે શ્રમિકોને અસર થઈ છે. આ તમામને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 શ્રમિક સાથે અન્ય મજૂરને ગંભીર થઈ છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ મામલે ગૃહમંત્રી હર્ષ સંધવીએ ઘટનાની નોંધ લઈને જણાવ્યું હતું કે, તમામ શ્રમિકોની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જે જરૂર પડે એ તમામ પગલાં એમના સ્વાસ્થ્ય હેતું લેવામાં આવશે. પોલીસ કમિશનર તરફથી આ કેસ માટે બેથી ત્રણ ટીમ તૈયાર કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેન્કરનો ડ્રાઈવર હાલમાં બેભાન અવસ્થામાં છે. જ્યારે એ ભાનમાં આવશે ત્યારે વધુ વિગત સામે આવશે. ટેન્કરમાં રહેલા કેમિકલની તીવ્રતા એટલી હતી કે, પહેલા માળ સુધી એની અસર જોવા મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ફાયર વિભાગે પાણી છાંટી તીવ્રતા ઘટાડી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. કેમિકલ ભરેલા ટેન્કર જે ખાલી કરવા માટે આવે છે એના માલિકને શોધી એની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ. GIDC રાજકમલ ચોકડી પ્લોટ નં.362 બહાર કેમિકલ ટેન્કરથી 8થી 10 મીટર દૂર મજૂર સૂતા હતા. અચાનક ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા આ શ્રમિકોને ઝેરી અસર થઈ હતી. ટેન્કર ચાલક તથા ત્યાં સૂઈ રહેલા શ્રમિકોને પણ અસર થઈ છે.

હાલ આ તમામ અસરગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. ડૉ ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટના સામે આવતા મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના તમામ સિનિયર ડૉક્ટર્સ ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા છે. તમામ મેડિકલ ઓફિસરોને પણ બોલાવી લેવામાં આવ્યા છે. તમામની યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઈન્ચાર્જ ધ્રુતી પરમાર પણ ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. અત્યારે સ્થિતિ કાબુમાં છે એવું કહી શકાય. એડમિટ કરાયેલા તમામ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે સુવિધાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 10 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. 108 પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું હતું કે આ ઘટના સવારે ચાર વાગ્યા આસપાસની છે. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઑક્સિજન સપ્લાય આપવામાં આવી છે.

